પાલનપુર નજીક નવિન આકાર પામનાર બાયપાસ મામલે અગાઉ ત્રણ ગામના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે, સોમવારે 5 કરતાં વધુ ગામના લોકોએ કલેકટર કચેરી પહોંચી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અગાઉ પાસ થયેલો બાયપાસ જ મંજૂર રાખવા રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં મોટા વાહનો માલ વાહકો પસાર થાય છે. જેને લઇ પાલનપુર શહેરના એરોમા સર્કલ નજીક મોટા પ્રમાણમાં ટ્રાફીકની સમસ્યા છેલ્લા કેટલાંય વર્ષોથી પેચીદી બની હતી.
જેથી શહેરીજનો દ્વારા હાઇવેની ટ્રાફીક સમસ્યાના નિરાકરણની માંગ સાથે જન આંદોલન છેડાયું હતું. ત્યારે સરકાર દ્વારા શહેરીજનોની માંગણીને ધ્યાને લઇ દિલ્હીથી પાલનપુર તરફ આવતાં માલ વાહકોને સીધા ખેમાણાથી બાયપાસની મંજૂરી આપી દેવાઇ છે.
જો કે, નવિન આકાર પામનાર બાયપાસને લઇ અગાઉ ત્રણ ગામના લોકો દ્વારા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરાયા બાદ સોમવારે 5 થી વધુ ગામના લોકોએ જીલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.
જ્યારે અગાઉ મંજૂર થયેલ બાયપાસ જ રાખવામાં આવે અને માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
From-Banaskantha update