થરાદના ઘોડાસર ગામમાં યુવકે પોતાના જ ઘરમાં લુંગી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. જો કે, ઘરમાં પત્નીની હાજરી હોવા છતાં પણ અઘટીત ઘટના ઘટતાં અનેક શંકા-કુશંકાઓ પણ ઉભી થઇ હતી.
થરાદના ઘોડાસર ગામના વિહાભાઇ વગતાભાઇ પ્રજાપતિ ગુરૂવારે રાત્રિના સાડા 10 વાગ્યાના સુમારે પત્ની સાથે ધાનેરાથી ખેતરમાં બનાવેલા રહેણાંકના ઘરે આવ્યા હતા.
ત્યારે તેમની નાની દીકરીએ દોડી આવી વસાકાકાએ કંઇક કરેલ છે તેવું કહેતાં તેઓ પોતાના ભાઇના ઓરડે જતાં વસાભાઇ (ઉં.વ.આ. 30) એ ઓરડાની વચ્ચે આવેલા પાટને લુંગી સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઇ છે.
પરિવારજનો નીચે ઉતારી જીપમાં ધાનેરાની ખાનગી હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. આથી તેમના મૃતદેહને થરાદની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે સવારે ખસેડી થરાદ પોલીસને જાણ કરી હતી.
મૃતકના સબંધીઓએ આ ઘટના અંગે આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાના આક્ષેપો પણ કર્યાં હતા.થરાદ પોલીસ સૂત્રોએ મૃતકનું પેનલથી પી.એમ. કરાવ્યું હોઇ પી.એમ. રીપોર્ટના આધારે સત્ય હકીકત જાણી શકાશે તેમ જણાવ્યું હતું.
From-Banaskantha update