પાલનપુરમાં પરિવાર લગ્નની તૈયારી કરવા વતનમાં ગયાને અજાણ્યા તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયા

Share

 

પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી શ્રીજી રેસીડેન્સીમાં રહેતો યુવક તેના લગ્નની તૈયારી માટે પરિવાર સાથે વતન વડગામના લીંબોઇ ગયા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ બંધ મકાનમાંથી રોકડ રૂપિયા સહીત રૂ. 1.45 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી શ્રીજી રેસીડેન્સીમાં રહેતાં જુગલકિશોર નયનાબેન બારોટના તા. 13/12/2021 ના રોજ લગ્ન હોવાથી તેમની માતા સાથે વતન વડગામ તાલુકાના લીંબોઇ ગામે ગયા હતા.

 

જે દરમિયાન રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પડેલી તિજોરીમાંથી રોકડ રૂ. 50,000, રૂ. 45,000 ની ત્રણ વીંટી, રૂ. 20,000 ની વીંટી અને રૂ. 30,000 નો ચાંદીનો જુડો મળી કુલ રૂ. 1,45,000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે જુગલકિશોરે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

જયારે બીજા બનાવમાં પાલનપુર એસ. ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતાં આબીદહુસેન મહંમદહુસેન ચૌહાણ તા. 02/12/2021 ના રોજ પરિવાર સાથે અમદાવાદ તેમના નાના ભાઇ મહંમદ તારીકની દીકરીના લગ્નમાં ગયા હતા. જે દરમિયાન અજાણ્યા શખ્સોએ દરવાજાનો નકુચો કાપી બીજો લાકડાનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

 

જ્યાં તિજોરીમાં પડેલી રૂ. 60,000 ની સોનાની ચેઇન નંગ-3, રૂ. 60,000 ની સોનાનું પેન્ડલ નંગ-2, બુટ્ટી નંગ-4, રૂ. 16,000 ની પાયલ નંગ-3 અને રૂ. 7,000 નો ચાંદીનો સેટ મળી કુલ રૂ. 1,53,000 નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે આબીદહુસેને પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share