બનાસકાંઠાના રણછોડ પગીએ પાકિસ્તાનના સૈનિકોને પરસેવો છોડાવી દીધો : વિઘાકોટમાં છુપાયેલા 1200 પાકિસ્તાન સૈનિકોની માહિતી ભારતીય સેનાને આપી

Share

આઝાદીના અમૃત મહોત્સવના ટાંકણે ઈ.સ. 1971ના ભારત વિજયના ઈતિહાસને આલેખતી અજય દેવગણની ફિલ્મ ‘ભુજ: પ્રાઇડ ઓફ ઈન્ડિયા’ 13 ઓગસ્ટના રોજ પ્રસ્તુત થવા જઈ રહી છે. ભારત-પાકિસ્તાનના ઈ.સ. 1965 અને 1971ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી એનો હિસ્સો કબજે કરવામાં જેનો સિંહફાળો રહ્યો હતો તે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સૂઈ ગામના શૂરવીર રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. ઈ.સ. 1971ના યુદ્ધના પ્રસંગોને આલેખિત કરતી ભુજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામની હિન્દી ફિલ્મ બનતાં બનાસવાસીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

[google_ad]

આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છીએ, જેણે એકવાર નહીં, પરંતુ બે-બે વાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે શૂરવીર એટલે રણછોડભાઈ રબારી ઉર્ફે પગી. પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. યુદ્ધ દરમિયાન સૈન્ય પાસે દારૂગાળો ખૂટી જતાં ઊંટ પર દારૂગોળો લાવીને સૈન્યની મદદ કરી હતી.

[google_ad]

રણછોડભાઈનો જન્મ પાકિસ્તાનના થરપારકરમાં આવેલા પેથાપુર ગઢડો ગામે વીસમી સદીના પ્રથમ દાયકામાં પિતા સવાભાઈ અને માતા નાથીબાને ત્યાં થયો હતો. રણછોડ રબારી પાસે કુદરતી શક્તિ હતી. તેઓ અભણ હોવા છતાં પણ પગચિહન ઓળખવામાં અદભુત કૌશલ્ય ધરાવતા હતા. તેથી પગી તરીકે ઓળખાતા હતા. માત્ર પગલાં પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવી છે, કઈ દિશામાં ગઈ છે,. તે કેટલું વજન લઈને ચાલી રહી છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે એ પણ જાણી શકતા હતા. રણછોડભાઈ પાસે 300 એકર જમીન અને 300 જેટલાં પશુમાં સાંઢ, ગાય, ઘેટાં, બકરાં હતાં. તેમનો પશુપાલનનો વ્યવસાય હતો.

[google_ad]

ઈ.સ.1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા, પરંતુ પાકિસ્તાનના લોકોની હેરાનગતિને કારણે એક દિવસ તેઓ ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના રાધાનેસડા ખાતે આવી ગયા. ત્યાર બાદ મોસાળ લીંબાળામાં વસવાટ કરવા લાગ્યા.

[google_ad]

 

તેમણે ગામમાં ચોકીદાર તરીકેની નોકરી શરૂ કરી હતી. એ સમયે તેમની પાસે અદભુત પગચિહન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓનો ભેદ ઉકેલી દીધો. જેથી ઈ.સ. 1962માં પોલીસ વિભાગમાં પગી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. તેમની આ કલાની ખબર ભારતીય સૈન્યને પણ પડી. એ સમયે ઈ.સ 1965ના યુદ્ધમાં પણ વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતાં રણમાં ભૂલા પડેલા સૈન્યને રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી અને ત્યાં પણ પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે, ક્યાં છુપાયેલા છે એ તમામ માહિતી આપતા હતા.

[google_ad]

 

ઈ.સ. 1971ના યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યને ઊંટ દ્વારા સમયસર દારૂગોળો પહોંચાડતાં ભારતીય જવાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં કબજે કર્યાં હતાં. આખરે 16મી ડિસેમ્બર, 1971ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીને મારીને કોઠીમાં પૂરીને આવ્યા બાદ વારંવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવાના માહેર રણછોડ રબારી પર પાકિસ્તાનમાં માથા માટે રૂ. 50,000ના ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આમ, સૂઈગામ પોલીસ સ્ટેશનને ખબરી, પગેરા પારખું, રણનો ભોમિયો, પગલે પગલે ચોર ઘૂસણખોરો સુધી પહોંચાડનાર અને સરહદ પર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હિલચાલના ખબર આપનારા જાંબાજ રણછોડ રબારી મળી ગયા હતા.

[google_ad]

 

 

રણછોડ પગીના પૌત્ર વિષ્ણુ રબારીએ જણાવ્યું હતું કે, દાદા રણછોડભાઇ સવાભાઇ રબારીની માણસ, પશુ-પક્ષીઓનાં પગલાં ઓળખવાની કોઠાસૂઝને કારણે પોલીસ પણ અવારનવાર મદદ લેતી હતી. ઈ.સ. 1962માં ડી.વાય.એસ.પી. વનરાજ ઝાલા સાહેબે પાકિસ્તાનના એક અંગત કામમાં રણછોડભાઈની મદદ લીધી હતી. એ જ સમયે પોલીસમાં રણ વિસ્તારના બનાવોના ભેદ ઉકેલવા માટે પગીની ખૂબ આવશ્યકતા ઊભી થતાં કાયમી ધોરણે ઇ.સ.1962માં પગી તરીકે સૂઇગામ થાણામાં નિમણૂક આપવામાં આવી હતી.

[google_ad]

 

ઇ.સ. 1965માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભારતની બધી ટુકડીઓએ સૂઇગામમાં આવીને રોકાણ કર્યું હતું. ભારતીય સૈન્યને નજીકના રસ્તે વિઘાકોટ જવાનું હતું. વિઘાકોટને પાકિસ્તાને કબજે કરી લીધું હતું અને પાકિસ્તાન સૈન્ય આગળ વધી રહ્યું હતું. ભારતીય સૈન્ય ત્યાં પહોંચવા માગતું હતું. રણ વિસ્તાર હોવાથી રસ્તો કે દિશાની કશું ખબર પડે એમ ન હતી ત્યારે તેમને માર્ગદર્શનની જરૂર હતી, ત્યારે ચંદ્રને હોકાયંત્ર બનાવીને એના આધારે રણમાં ફરનારા રણછોડભાઈએ આગળ ચાલીને આ કાફલાને નજીકમાં ઓછામાં ઓછા સમયમાં કોઈપણ તકલીફ વગર વિઘાકોટ સમયસર પહોંચાડ્યું હતું. રણના માર્ગોથી પરિચિત રણછોડભાઈએ યુદ્ધ સમયે વિઘાકોટમાં છુપાયેલા પાકિસ્તાનના 1200 સૈનિકોની જાણકારી ભારતીય સેનાને પહોંચાડી હતી.

[google_ad]

ઈ.સ. 1971ના યુદ્ધમાં રણછોડભાઈ પગીએ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈનિકોએ ધોરા પર કૂચ કરી આક્રમણ કરી દીધું. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. જેથી ભારતીય સૈન્યની 50 કિ.મી. દૂરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. રણછોડભાઈએ સમયસર દારુગોળો પહોંચાડતાં ભારતીય હવાઇદળનાં ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં કબજે કરી લીધા હતા. જોકે રણછોડભાઈ રબારી સમયસર ઊંટ ઉપર દારૂગોળો પહોંચાડવા જતાં પોતે ઘવાયા હતા. તેમણે ભારત-પાકિસ્તાનનાં બંને યુદ્ધોમાં ભારતીય ભૂમિ સેનાને ભોમિયા તરીકે મદદ કરી હતી.

[google_ad]

 

રણછોડભાઈની 31 વર્ષ 2 માસ અને 26 દિવસ સુધીની યશસ્વી કામગીરીની કદર કરીને ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં (1) સંગ્રામ સેવા મેડલ (2) પોલીસ મેડલ ફોર મેરીટોરિયમ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ અને (3) સમર સેવા સ્ટાર મેડલ-1965. આ સિવાય, બી.એસ.એફ. દ્વારા 990 નંબરના પિલ્લર ઉપર રણછોડ દાસ બી.ઓ.પી. કરીને આખી પોસ્ટ ઊભી કરવામાં આવી છે, ત્યાં તેમનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે.

[google_ad]

 

રણછોડભાઈ રબારીનું દેહાવસાન 18મી જાન્યુઆરી 2013ના રોજ થયું હતું. તેમની બે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. તેમની ઈચ્છા હતી કે તેમના શબના માથા પર પાઘડી રાખવામાં આવે અને અગ્નિદાહ ખેતરમાં જ આપવામાં આવે. તેમની બંને ઈચ્છાઓ પ્રમાણે ગાર્ડ ઓફ ઓનર આપીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

[google_ad]

 

ઈતિહાસની આરસીમાં નજર નાખતાં જણાય છે કે ત્રીજી ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને ભારતનાં અલગ અલગ શહેરો ઉપર હવાઈ હુમલાઓ કરતાં ભારત-પાકિસ્તાન યુદ્ધની શરૂઆત થયેલી અને 16મી ડિસેમ્બરના રોજ ભારતનો વિજય થતાં માત્ર 13 દિવસ ચાલેલા યુદ્ધ સાથે અનેક શૂરવીર રત્નોની યશગાથાઓ જોડાયેલી છે. ઈ.સ. 1965 અને 1971ના એમ બંને યુદ્ધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સરહદી સૂઈ ગામના શૂરવીર અને બનાસરત્ન રણછોડભાઈ પગીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

[google_ad]

 

રણછોડભાઈ રબારીના પૌત્ર વિષ્ણુભાઈ રબારીએ જણાવ્યું હતુ કે રણછોડભાઈ રબારી એટલે કે મારા દાદામાં માણસ, પશુ-પક્ષીઓનાં પગલાં ઓળખવાની કોઠાસૂઝ હતી. તેથી પોલીસ પણ અવારનવાર મદદ લેતી હતી. તેમની પાસેથી દેશસેવાની પ્રેરણા લઈને મેં પણ દેશની સેવા કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં માવસરી પોલીસ સ્ટેશનમાં પગી તરીકેની ફરજમાં છું.

 

From – Banaskantha Update

 

 

 

 


Share