ટ્રેન્ડ બદલાયો : બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે 3,000 જેટલાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવે છે : જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજય પરમાર
ભૂતકાળ બની ગયેલા બાળ ગીતો અને જ્ઞાન સાથે ગમ્મત એટલે બાળકોને ડાન્સ દ્વારા શિક્ષણ આપતાં શિક્ષક રોહીતભાઇ પટેલ કાંકરેજ તાલુકાની અરણીવાડા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રોહીતભાઇ પટેલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તાજેતરમાં રાજ્યની પ્રતિષ્ઠીત અસ્મિતા ન્યૂઝ ચેનલ દ્વારા પુરસ્કાર એનાયત કરી સન્માન કરાયું હતું.
[google_ad]
પાટણ જીલ્લાના બાલિસણાના વતની રોહીતભાઇ ચંદુભાઇ પટેલે બનાસકાંઠા જીલ્લાના અંતરીયાળ વિસ્તારની કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાને પોતાની કર્મભૂમિ બનાવી અનોખી રીતે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. બાળકોને શાળાએ આવવાની મજા પડે, તેમને ભણતર ભારરૂપ ન લાગે તે માટે રોહીતભાઇ પટેલ સવારની સમૂહ પ્રાર્થના અને વર્ગખંડમાં બાળ ગીતો પર ડાન્સ કરી બાળકોને શિક્ષણ આપે છે.
[google_ad]
તેઓ રસોઇકળામાં પણ પારંગત છે. કોઇપણ પ્રકારનો શરમ-સંકોચ રાખ્યા સિવાય તિથી ભોજન આપવાનું હોય ત્યારે તેઓ જાતે રસોઇ બનાવી બાળકોને ખવડાવે છે. આ શાળામાં મોટાભાગના શિક્ષકો યુવાન છે. આ યંગ ટીમ દ્વારા શાળામાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓ કરી વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
[google_ad]
આ રીતે બીજી સ્કૂલના બાળકો પણ આ અભિનય ગીત દ્વારા કંઇક શીખે તે માટે તેમના સાથી શિક્ષક અંકિતભાઇ પટેલે અભિનય ગીતનો વિડીયો બનાવી યુ-ટ્યૂબ પર અપલોડ કર્યો હતો અને જોતા જોતામાં ખૂબ જ વાયરલ થયો હતો. પછી તો રોહીતભાઇ શિક્ષણ જગતમાં ખ્યાતિ પામ્યા હતા અને બાળકોના પ્રિય શિક્ષક બની ગયા હતા. જેની નોંધ લઇ એ.બી.પી. અસ્મિતા દ્વારા રાજ્યમાં નવ રત્નો પૈકીના શિક્ષક રત્ન રોહીતભાઇ પટેલને અસ્મિતા પુરસ્કાર એનાયત કરાયો હતો.
[google_ad]
આ અંગે શિક્ષક રોહીતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 7 વર્ષથી અરણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. જ્યારે અમે પી.ટી.સી.માં અભ્યાસ કરતાં તે દરમિયાન બાળ ગીત પર અભિનય કરતાં એટલે મને વિચાર આવે કે, આ અંતરીયાળ વિસ્તાર છે. આ વિસ્તારના બાળકો શાળામાં આવવા જીદ કરે, પ્રાર્થનામાં બાળકો સમયસર આવી જાય, બાળકો અભિનય ગીતમાં ભાગ લે, બાળકનો ડર ઓછો થાય, તે સ્ટેજ પર આવી પોતાની વકતૃત્વ કળા ખિલવી શકે તે માટે અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
[google_ad]
લોક માનસમાં સરકારી શાળાની સારી છાપ ઉપસે તે માટે મારા જેવા હજારો શિક્ષકો દિલ રેડીને કામ કરે છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. મહાન આચાર્ય ચાણક્યએ પણ કહ્યું છે કે ‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પહલતે હૈ’’. શક્તિશાળી રાષ્ટ્રીયના નિર્માણ માટે અને મારા આત્મસંતોષ માટે અભિનય ગીત વડે જ્ઞાન સાથે ગમ્મત દ્વારા શિક્ષણ આપીએ છીએ.’
[google_ad]
બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમારે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં કોરોના મહામારીમાં શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ કાર્ય નહીં. શિક્ષકો શેરી શિક્ષણ અને વર્ચ્યુઅલ માધ્યમથી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. શાળાના સુંદર બિલ્ડીંગો, ઉચ્ચ મેરીટવાળા શિક્ષકો, કોમ્પ્યુટર લેબ, દિકરા-દિકરીઓ માટે અલગ શૌચાલય, મધ્યાહન ભોજન અને શિષ્યવૃતિ વગેરે જેવી સરકારી શાળામાં સુવિધાઓ હોવાથી હવે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે.
[google_ad]
બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે 2,500થી 3,000 જેટલાં બાળકો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવે છે. જીલ્લામાં વર્ષ-2017-18માં 2863 બાળકો, 2018-19માં 2707, 2019-20માં 2969, 2020-21માં 2237 અને આ વર્ષ-2021-22માં 2348 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને હજી પ્રવેશ મેળવવાનું ચાલુ છે. થરાદ તાલુકાની આનંદનગર સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે 75 જેટલાં બાળકોએ ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. મને વિશ્વાસ છે કે, હવે સરકારી શાળાઓનો જમાનો આવવાનો છે.’
From – Banaskantha Update