ડીસા-પાટણ રોડ પર આવેલા આસેડાથી મુના જવાનો કાચો રસ્તો બનાવવા બંને ગામના લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ સરકારી તંત્ર અને ચૂંટણી સમયે વાયદાઓ આપતાં નેતાઓને હજુ સુધી આ રજૂઆત ન સંભળાઇ હોય તેમ જોવા મળી રહ્યું છે.
[google_ad]
ડીસા તાલુકાના આસેડાથી પાટણ જીલ્લાના સરસ્વતિ તાલુકાના મુના જવા માટે નો માત્ર 3 કિ.મી અંતર છે પરંતુ કાચા રસ્તાના અભાવે બંને ગામના લોકોને 10 કિ.મી થી વધુ અંતર કાપીને જવું પડે છે. આ રોડ બનાવવા માટે છેલ્લા 20 વર્ષ એટલે કે 1999 થી રજૂઆત કરવામાં આવે છે. ચૂંટણી સમયે બંને પક્ષના નેતાઓ વાયદા આપીને જતાં રહે છે. પરંતુ 20 વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ કાચા રસ્તા (નેળીયા) માં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા સ્થાનિક ખેડૂતો સહિત દુધ ભરાવવા જતાં પશુપાલકો અને અભ્યાસ અર્થે શાળાએ કે ટયુશન જતાં નાના બાળકોને પણ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે. જેથી સત્વરે આ રોડ પાકો બનાવવામાં આવે તેવી બંને ગામના લોકોની માંગ ઉઠી છે.
[google_ad]
આસેડાથી મુના ગામને જોડતા કાચા રસ્તાને પાકો બનાવવા માટે છેક 1999 થી રજૂઆત કરવામાં આવે છે પરંતુ ચૂંટણી સમયે ઠાલા વચનો આપતાં આજ દિન સુધી રસ્તા ની પરિસ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે તેમ આસેડાના અશોકભાઇ ઠાકોરે જણાવ્યું હતું.
[google_ad]
મુનાથી આસેડા જવા માટે હાલમાં ભાટસણ, નવા થઇ આસેડા જતાં 10 કિમી ફરીને જવું પડે છે. જો આ કાચો રસ્તો સરકાર દ્વારા પાકો બનાવવામાં આવે તો બંને ગામના લોકોને સમયની સાથે સાથે આર્થિક બચત પણ થઇ શકે તેમ મુના ગામના યુવા અગ્રણી ડાયાભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
From – Banaskantha Update