થરાદ તાલુકાના ડુવામાં ઉમટ પરિવારનું નકળંગ ભગવાન અને ગોગા મહારાજના મંદિરમાં 2 અજાણ્યા શખ્સોએ ભગવાનને ચડાવેલા નાના-મોટા છત્ર નંગ-35ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેમાં બંને શખ્સો જૈન મંદિરમાં લાગેલા સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયા છે. આ અંગે થરાદ પોલીસ મથકે રૂડાભાઇ જુઠાજી રાજપૂતે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના ડુવામાં ઉમટ પરિવારનું નકળંગ ભગવાન અને ગોગા મહારાજનું મંદિર રામજી મંદિરની બાજુમાં આવેલ છે. જે બંને મંદિરોના દરવાજાને લોક મારતા નથી. ગુરૂવારની સવારે આરતી કરવા જતી વખતે ભગવાનને ચડાવેલા નાના-મોટા છત્ર નંગ-35 જેટલાં વજન 500થી 700 ગ્રામ કિંમત રૂ. 40,000ના જણાયા હતા.
[google_ad]
બીજી બાજુ રાત્રિના પોણા બે વાગ્યાના સુમારે ગામમાં આવેલ જૂના જૈન મંદિરમાં પણ 2 અજાણ્યા શખ્સો ચોરી કરવા માટે આવ્યા હતા. પણ તેમણે વાયર કાપવા જતાં સાયરન વધુ ઉતાવળા અવાજે વાગવા લાગ્યું ત્યારે બંને શખ્સો ભાગી ગયા હતા.
[google_ad]
જે C.C.T.V ફૂટેજમાં દેખાયું હોવાનું જણાવ્યું હતું. આથી આજ બંને અજાણ્યા શખ્સોએ નકળંગ ભગવાન અને ગોગા મહારાજના મંદિરના દરવાજા ખોલી તેમાંથી ચોરી કરેલ હોવાનું પ્રતીત થવા પામ્યું હતું. આ અંગે થરાદ પોલીસ મથકે રૂડાભાઇ જુઠાજી રાજપૂતે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update