બનાસકાંઠામાં ગાજવીજ સાથે સાંબેલા ધારે વરસાદ ખાબકતાં ચારે બાજુ નદીઓ વહેતી થઇ ગઇ છે. જિલ્લામાં રાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે વેડંચા ગામેં બે વર્ષ અગાઉ બનાવેલા પુલની બાજુનો એપ્રોચ ધરાશાયી થયો છે, જ્યારે અમીરગઢના સોનવાડી અને ઈશ્વાની વચેનું નાળું સામાન્ય વરસાદમાં જ તૂટી જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બને તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
અમીરગઢ તાલુકામાં નાના ગામડાઓમાં રસ્તાઓની સમસ્યા વર્ષોથી યથાવત છે. દર વર્ષે સોનવાડી અને ઈશ્વાની બે ગામને જોડતો મુખ્ય કાચો માર્ગ વરસાદની સિઝનમાં ધોવાઈ જાય છે અને આખું ચોમાસુ લોકો મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઈશ્વાનીથી સોનવાડી જતાં રસ્તા વચ્ચે એક પાણીનું વહેણ ચાલે છે. જે વરસાદનું પાણી સોનવાડીના લઘુ સિંચાઇના ડેમમાં જાય છે, પરંતુ જ્યારે પાણી આવે ત્યારે રસ્તો તૂટી જાય છે.
દર ચૂંટણીઓમાં નેતાઓ અહીંયા પાકો માર્ગ બનાવવા માટે અને અહીંના લોકોની આ સમસ્યાનો કાયમી અંત લાવવાના વચન આપે છે, પરંતુ હજુ સુધી આ માર્ગને પાકો બનાવાયો નથી. ગત રાત્રી સમયે પડેલા સામાન્ય વરસાદમાં જ આ કાચા રસ્તા પર બનાવેલું નાળું અને નાળામાં મૂકેલા ભૂંગળા પણ તણાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો છે.
કેટલાંક ગમાડાઓના હજારો લોકોને અનેક મુશ્કેલીઓ છતાં પણ અહીંયા પાકું કામ કેમ કરવામાં આવતું નથી તે એક મોટો સવાલ છે. આ રસ્તો ધોવાઈ જતા બે ગામનો સંપર્ક તો તુટેજ છે ઉપરાંત આ રસ્તેથી અન્ય ગામડાઓમાંથી તાલુકા મથક અમીરગઢ સુધી આવતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પાડે છે અને તેઓને લાંબા રસ્તેથી આવવાની ફરજ પડી રહી છે. ત્યારે હવે વિકાસની વાતો વચ્ચે અહીંના લોકોની સમસ્યાનો કાયમી ઉકેલ માટે પાકો માર્ગ બનાવવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનોની માંગ છે.
From – Banaskantha update