કલેકટર આનંદ પટેલની સુચના મુજબ સદ્દભાવના ગૃપના સહયોગથી શરૂ કરાયેલ કોવિડ-19 મોનીટરીંગ એન્ડ રીસ્પોન્સ સેન્ટરનો ખૂબ સારો રીસ્પોન્સ રહ્યો
કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા માઇક્રોપ્લારનીંગ કરી સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વ્યાપક વ્યવસ્થા કરાઇ હતી. કોરોના સંક્રમિત વ્યક્તિઓની આરોગ્યના કર્મયોગીઓ દ્વારા સંભાળ લેવામાં આવતી હતી પરંતુ એકપણ દર્દી સારવાર વિના ન રહે તે માટે ટીમ બનાસકાંઠા અને સદ્દભાવના ગૃપ-પાલનપુર દ્વારા એક નવતર પહેલ શરૂ કરાઇ હતી.
જેમાં બનાસકાંઠા જીલ્લાની જૂદી-જૂદી કોલેજના યુવાનોને કોરોના દર્દીઓને ફોન કરી તેમના ખબર અંતર પૂછી તેમના ઘર સુધી આરોગ્યની ટીમ પહોંચીને સારવાર કરી છે કે કેમ ? આ માટે પાલનપુર ખાતે જીલ્લા પંચાયતના સભાખંડમાં કલેકટર આનંદ પટેલે તા.11 મે-2021 ના રોજ કોવિડ-19 મોનીટરીંગ એન્ડ રીસ્પોન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો.
પાલનપુર જીલ્લા પંચાયત ખાતે શરૂ કરાયેલા આ મોનીટરીંગ એન્ડ રીસ્પોન્સ સેન્ટર પર કુલ-7 જેટલાં ટેલિફોનની વ્યવસ્થા કરી કોલેજના યુવાનોને ફરજ સોંપવામાં આવી હતી. કોવિડ-19 પોઝીટીવ દર્દીઓને કોલ કરી તેમના ઘર સુધી આરોગ્યની ટીમ પહોંચી કે કેમ તે અંગે સદ્દભાવના ગૃપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઇ એચ. ચૌધરીના સહયોગથી એન.એસ.એસ. અને એન.સી.સી.ના સાત-સાત વિધાર્થીઓની અઠવાડીક ટીમ ગોઠવવામાં આવી હતી.
આ ટીમ કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને ફોન કરી તેઓને તેમની સુખાકારી જળવાઇ રહે અને તેમનું સંક્રમણ બીજાને ન ફેલાય તે માટે હોમ આઇસોલેશનમાં રહેવા અથવા નજીક કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં રહેવા અને આરોગ્ય અંગેનું શિક્ષણ આપવામાં આવતું હતું. જા કોઇ પણ દર્દીને તકલીફ હોય તો નજીકના દવાખાનામાં સારવાર લેવા પણ જણાવવામાં આવતું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા કોરાના સંક્રમિત દર્દીઓની હોમ વિઝીટ લેવાયેલ છે કે નહીં તેની અને મુલાકાત દરમિયાન કર્મચારીની દર્દી પ્રત્યેની વર્તણુંક બાબતે પણ માહિતી લેવામાં આવતી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જા મુલાકાત ન લેવાઇ હોય તેવા દર્દીઓનું અલગ લીસ્ટ બનાવી તાલુકા આરોગ્ય અધિકારીને મોકલી મુલાકાત લેવા જણાવવામાં આવતું હતું.
જેના કારણે તમામ કોરોના સંક્રમિત દર્દીઓની આરોગ્ય કર્મચારીઓ દ્વારા હોમ વિઝીટ સમયસર થતી હતી. આ સેન્ટરની કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એસ.એમ.દેવ દ્વારા અવાર-નવાર મુલાકાત લઇ વિધાર્થીઓ પાસેથી કામગીરીના પ્રતિભાવો જાણી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવતું હતું. આ સેન્ટર તા.11 મે-2021 થી તા.12 જૂન-2021 સુધી કુલ-5 અઠવાડીયા સુધી ચલાવવામાં આવ્યું હતું.
જેમાં કુલ-5 ટીમોએ સેવા આપી હતી. જેમના દ્વારા કુલ-5,352 કોરોના પોઝીટીવ દર્દીઓને ટેલિફોનીક કોલ કરવામાં આવ્યા હતા. આ સેન્ટર શરૂ કરવાથી આરોગ્ય કર્મીઓ દ્વારા કોરાના દર્દીઓની કુશળતાપૂર્વક સેવાકાર્ય કરી શકાયું છે. જેના કારણે દર્દીઓમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં જીલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ બિલકુલ ઓછું થતાં તા.12 જૂન-2021 થી આ મોનીટરીંગ અને રીસ્પોન્સ સેન્ટર બંધ કરવામાં આવ્યુ છે તેમ બનાસકાંઠા જીલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ડૉ. એન.કે.ગર્ગે જણાવ્યું છે.
From – Banaskantha Update