બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ચાર વર્ષ અગાઉ પતિએ પત્નીને ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. જેનો કેસ ડીસાના નામદાર ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સ્ત્રી અત્યાચાર અને મનુષ્ય વધના ગુનાઓ અંકુશમાં લાવવા માટે ડીસાની નામદાર કોર્ટે દાખલા રૂપ ચૂકાદો કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ચાર વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના મૈડકોલ ખાતે રહેતાં ભગાજી રામાજી ઠાકોર જેના લગ્ન કાંકરેજ તાલુકાના કાકરાળા ખાતે રહેતાં જશીબેન ડો.ઓ. સોવનજી ઠાકોરને ત્યાં આજથી 11 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તેમના સંતાનમાં બે દીકરા છે. તે તેમના દીકરા સાથે પિયર મળવા ગયા હતા. તા. 2/04/2018 ના રોજ તેમના પતિ ભગાજી રામાજી ઠાકોર તેમને તેડવા આવ્યા હતા.
પરંતુ જશીબેન ડો.ઓ. સોવનજી ઠાકોરે જણાવ્યું હતું કે, મારી તબિયત સારી નથી તેમજ મારા માતા-પિતા ઘરે આવે પછી જઇએ. પરંતુ તેનો પતિ ભગાજી રામાજી ઠાકોર તેડી જવાની જીદ કરતો હતો અને એકદમ ઉશ્કેરાઇ જઇ તેની ફોટમાં ચપ્પું (ખંજર) કાઢી જશીબેન ઘભરાઇ ગયા હતા અને બાજુમાં આવેલા ખેતર તરફ દોડ્યા હતા. ત્યારબાદ જશીબેન પડી જતાં તેના પતિ ભગાજી રામાજી ઠાકોરે ચપ્પુ વડે પેટના ભાગે, પીઠના ભાગે અને આડેધડ ઘા મારતાં તેની પત્ની જશીબેન ડો.ઓ. સોવનજી ઠાકોરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં જશીબેન ડો.ઓ. સોવનજી ઠાકોરની બહેને શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં વધુ તપાસ હાથ ધરાઇ હતી.
જેમાં તા. 04/ 04/2018 ના રોજ હત્યારા પતિને શિહોરી પોલીસે ઝડપી પાડી તેનો કેસ ડીસાની નામદાર ચોથી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં મે. એડી. સેશન્સ જજ સી. કે. મુન્શી અને સરકારી વકીલ ડી.પી.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભગાજી રામાજી ઠાકોર (રહે.મૈડકોલ, તા.કાંકરેજ) વાળાને આજીવન કેદની સજા અને રૂ. 5,000 નો દંડ ભરવાનો તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ માસની સખ્ત કેદની સજા ભોગવવાનો આદેશ કરી સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધે નહી અને આવા મનુષ્ય વધના ગુના અટકે તેમજ સ્ત્રી ઉપર કોઇ અત્યાચાર ન થાય તે માટે ઉદાહરણ રૂપે ઉત્તમ ચૂકાદો આપ્યો છે.
From – Banaskantha Update