સામાન્ય રીતે શેરીઓમાં રખડતા કૂતરાઓ હિંસક બનીને લોકોને કરડતા હોય છે. ભારતના તમામ રાજ્યોમાં રખડતા કૂતરાઓની પરેશાની લોકો વેઠી રહ્યા છે.
જોકે કેરાલાના લોકો માટે બિલાડીઓ મુસીબત બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કુતરાઓ કરતા બિલાડીઓ કરડતી હોવાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ 28000 લોકોને બિલાડીઓ કરડી હોવાના કેસ સામે આવ્યા છે.
સરકારે પોતે આરટીઆઈ હેઠળ થયેલી અરજીના જવાબમાં આ આંકડો આપ્યો છે. સરકારના આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી કુતરાઓ કરતા બિલાડીઓ કરડવાથી સારવાર લેવા માટે આવતા લોકોની સંખ્યા વધી છે. જાન્યુઆરી મહિનામાં કુતરા કરડવાની 20000 અને બિલાડીઓએ બચકુ ભર્યુ હોય તેવા 28000 કેસ નોંધાયા હતા.
રાજ્યની પ્રાણી પ્રેમી સંસ્થાએ આ જાણકારી માંગી હતી.આંકડા પ્રમાણે 2016માં બિલાડીઓ કરડી હોવાના 1.60 લાખ જેટલા કિસ્સા નોંધાયા હતા અને 2020માં આ આંકડો વધીને 2.20 લાખ પર પહોંચી ચુક્યો છે. આમ પાંચ વર્ષમાં બિલાડી કરડવાની ઘટનાઓમાં 128 ટકાનો વધારો નોંધાયો છે. સરકારી આંકડા પ્રમાણે 2016માં કુતરા કરડવાના 1.25 લાખ કેસ નોંધાયા હતા અને 2020માં આવા 1.6 લાખ કેસ સામે આવ્યા હતા. હડકવાના કારણે પાંચ લોકોના ગયા વર્ષે મોત પણ થયા હતા.
From – Banaskantha Update