થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેર ગામના પુલ નજીક સોમવારે સવારે એક માતા 12 વર્ષિય અને 15 વર્ષિય બે પુત્રો સાથે ઝંપલાવ્યું હતું. આ બનાવની તેમના પરિવારજનોને જાણ થતાં તેઓ શોધખોળ કરતાં કેનાલ પર દોડી આવી પાલિકાને જાણ કરતાં થરાદ પાલિકાની ફાયર ટીમે ત્રણેયના મૃતદેહો શોધી પરિવારને સોંપ્યા હતા. જોકે મહિલાએ કયા કારણોસર પુત્રો સાથે આપઘાત કર્યો તેને લઈ અનેક રહસ્યો ઊભા થયા છે. આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
થરાદના ચુડમેરમાં પિયર ધરાવતી અને વાવના ચુવા ગામે પરણાવેલી પરિણીતા તેના 2 પુત્રો સાથે સોમવારે સવારે ચુડમેરથી ચુવા જવા નિકળી હતી. ત્યારે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેરા ગામના પુલ નજીક માતાએ પોતાના 2 પુત્રો સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ શોધખોળ કરતાં કેનાલ પર દોડી આવ્યા હતા.
આ અંગેની જાણ પાલિકાને થતાં તરવૈયા સુલતાન મીર ફાયર ટીમ સાથે કેનાલ પર દોડી આવ્યા હતા.અને બે કલાકની શોધખોળ બાદ માતા અને બન્ને પુત્રોના મૃતદેહો શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મહિલા અને તેના બે પુત્રોના મોતને લઈ પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.એવી તો શી તકલીફ હતી કે મહિલાએ આપઘાત કરવો પડ્યો તેને લઈ તર્કવીર્તક વહેતા થયા છે.જો કે, આ ઘટનાને અંગે થરાદ પોલીસ મથકે કોઇ નોંધ થઈ ન હતી.