બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મંગળવારે જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત
નલ સે જલ યોજનામાં બનાસકાંઠા જીલ્લાના તમામ ગામોને 100 ટકા નળ કનેક્શનથી આવરી લેવા અને બાકી રહી ગયેલા ઘરોમાં પીવાના પાણી માટે નળ કનેક્શનની સુવિધા ઉભી કરવાનું આયોજન કરાયું છે.
જીલ્લાના 81 ગામ અને પરાઓમાં પાણી સમિતિઓ દ્વારા આયોજન કરાયેલા 13,475 ઘરોમાં નળ કનેક્શનથી પાણી આપવાની સુવિધા ઉભી કરવાની યોજનાને કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં મંજૂરી અપાઇ હતી. પાણીની સુવિધા માટે મંજૂર કરવામાં આવેલ આ યોજનાથી 98.83 ટકા ઘરોમાં નળ કનેકશનથી પાણી આપવાની પ્રક્રિયા પૂર્ણ થશે. અગાઉ મંજૂર કરાયેલ યોજનાઓ પૈકી ભાવસૂચિ વર્ષ 2021-22 મુજબ યોજનાઓ રીવાઇઝ કરી 230 ગામ અને પરાઓની યોજનાઓની સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ હતી.
દાતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં રહેતાં લોકો માટે પાણી પહોંચાડવાની યોજનાઓ અંગેનું પ્લાનીંગ કરવા અને આગામી તા.૩૧ જુલાઇ સુધી જીલ્લામાં પીવાના પાણીની મુશ્કલી ન પડે તે પ્રમાણે આયોજન રાખવા પાણી પુરવઠાના અધિકારીઓએ કલેકટરને જણાવ્યું હતું.
આ બેઠકમાં આસી. કલેકટર પ્રશાંત જીલોવા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ડી.એમ.બુંબડીયા, વાસ્મોના યુનિટ મેનેજર કૈલાશબેન મેવાડા, આશિષભાઇ પટેલ, મામતોરા અને રાઠોડ સહીત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update