મધ્યપ્રદેશમાં 35 દિવસ અગાઉ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સાગર નજીક સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિને કારમાં જીવતો સળગીને મૃત્યુ પામતાં જોયા બાદ પત્ની આ આઘાત સહન નહીં કરી શકતાં ગળેફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો.
આ અંગેની વિગત એવી છે કે, રીઝવાના ખાન (ઉં.વ. આ.32) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે રહેતી હતી. શુક્રવારે સવારે રીઝવાનાને ઉંઘમાંથી જાગી તૈયાર થવાનું પરિવારે કહ્યું હતું. પરંતુ ઘણો સમય પસાર થઇ જવા છતાં રીઝવાના રૂમની બહાર આવી ન હતી.
જ્યારે પરિવારે રૂમમાં જઇ તપાસ કરી તો ત્યાંનું દૃશ્ય કંઇક અલગ જ હતું. રીઝવાના ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પરિવારે પોલીસને જાણ કરી હતી. શાહગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
પિતા લિયાકત ખાને જણાવ્યું હતું કે, ‘રીઝવાનાના લગ્ન લગભગ 6 વર્ષ અગાઉ ગામ કાજી ટીકમગઢના સાજીદ ખાન (ઉં.વ. આ. 36) સાથે થયા હતા. એક માસ અગાઉ સાજીદ અને રીઝવાના કારમાં ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. આ ઘટનામાં કારમાં આગ લાગી હતી અને સાજીદ જીવતો સળગી ગયો હતો. આ સંજાગોમાં રીઝવાના ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. કેટલાંક દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી હતી. રીઝવાના દરરોજ તેના પતિનો ફોટો જાઇ સતત રડતી હતી.’
તા. 30 એપ્રિલના રોજ સાગરના બહેરીયા પોલીસ સ્ટેશનમાં સાઇખેડાથી લિધૌરા વચ્ચે કાર કાબૂ ગુમાવતાં ડીવાઇડર પર ચડી ગઇ હતી અને આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર સાજીદ ખાનનું સળગી જવાથી મોત નિપજ્યું હતું. પત્ની રીઝવાના ખાન પોતાની નજર સામે જ પતિને સળગીને મૃત્યુ થતાં આ આઘાતમાંથી તે બહાર નીકળી શકી ન હતી અને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
From – Banaskantha Update