90,000 બાળકો બે રાજ્યમાં કોરોના સંક્રમિત : શું આ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું એલર્ટ..?

- Advertisement -
Share

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હજી સંપૂર્ણ રીતે અટકી પણ નથી અને ત્રીજી લહેરની એન્ટ્રીએ સમગ્ર દેશને હલાવી દીધો છે. ત્રીજી લહેર વિશે પહેલા જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એ બાળકો માટે જોખમી સાબિત થવાની છે. હાલની સ્થિતિ પ્રમાણે કોરોનાના આંકડાઓ પર નજર નાખીએ તો દેશનાં બે રાજ્યમાં જ અત્યારસુધીમાં 90 હજાર બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયાં છે. આ રીતે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો બે રાજ્યોની આ સ્થિતિ છે તો આખા દેશની શું સ્થિતિ હશે. આ સંજોગોમાં એવું કહેવું પણ ખોટું નથી કે દેશમાં ત્રીજી લહેરે પગપેસારો શરૂ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાના આંકડા જોઈએ તો મહારાષ્ટ્રમાં આ વખતે પણ ત્રીજી લહેર જોખમી થતી જાય છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં માત્ર મે મહિનામાં જ 9 હજાર બાળકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. બાળકોમાં કોરોનાના વધતા કેસે હવે સ્વાસ્થ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે. બાળકોમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને હવે વિવિધ રાજ્યોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

તેલંગાણામાં પણ બાળકોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં માર્ચથી મે દરમિયાન 37,332 બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોનાનું સંક્રમણ તાજા જન્મેલા બાળકથી લઈને 19 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યું છે. તેલંગાણા સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, જેટલું ઝડપથી બાળકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન તેલંગાણામાં 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2020 સુધી 19,824 બાળકો સંક્રમિત થયાં હતાં.

મધ્યપ્રદેશની હાલત પણ અત્યારે ખરાબ થતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની શરૂઆતથી અત્યારસુધીમાં 54 હજાર બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયાં છે. તેમાં નવજાત બાળકથી લઈને 18 વર્ષની ઉંમરનાં બાળકોનો સમાવેશ થયો છે. રાજ્યમાં બાળકોમાં કોરોનાની સ્થિતિ ગંભીર થતાં 12 હજાર બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની કોવિડ પોઝિટિવ પેશન્ટ લાઈન લિસ્ટ રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશના ભોપાલમાં અત્યારસુધીમાં 2699 બાળકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. તેમાંથી 32 ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી, જ્યારે 58 ટકા બાળકો ઘરે જ સારવારમાં સાજા થઈ ગયાં હતાં. ભોપાલમાં હાલ 600 જેટલાં બાળકો હોમ આઈસોલેશનમાં છે. 72 ટકા બાળકો કોરોનાને માત આપી ચૂક્યાં છે.

રાજસ્થાનના ડુંગરપુરમાં છેલ્લા 10 દિવસમાં 512 બાળકો કોવિડ સંક્રમિત નોંધાયાં છે. રાજસ્થાનના રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ સંગીતા બેનીવાલે જણાવ્યું હતું કે બાળકોની આટલી મોટી સંખ્યામાં સંક્રમિત થવું ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ડોક્ટર્સ અને નિષ્ણાતો દ્વારા બાળકોની આ સ્થિતિને ત્રીજી લહેરની આશંકા તરીકે જોવામાં આવી રહી છે. ડુંગરપુર જિલ્લામાં જ માત્ર 10 દિવસમાં જ 512 બાળકોનું સંક્રમિત થવું જોખમી છે.

નિષ્ણાતો તરફથી ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળરોગ નિષ્ણાતોનું માનવામાં આવે તો ત્રીજી લહેર જો ઝડપથી ફેલાશે તો સ્થિતિ બેકાબૂ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે બાળકોની સારવાર માટે દેશમાં કોઈ ખાસ આઈસીયુની વ્યવસ્થા નથી. શક્ય છે કે ત્રીજી લહેરમાં બાળકોને એની જરૂર પડી શકે.

દેશમાં અત્યારે સીરો સર્વેમાં સામે આવ્યું છે કે કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેરમાં કુલ 40 ટકા બાળકો સંક્રમણની ઝપટમાં આવ્યા છે. પહેલી લહેરમાં આ ટકાવારી 15 ટકા હતી, જ્યારે બીજી લહેર દરમિયાન 25 ટકા કરતાં વધારે બાળકો કોરોનાં સંક્રમિત થયાં છે. એવું માનવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરમાં દેશનાં અન્ય 60 ટકા બાળકોને પણ જોખમ છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની બીજી લહેરમાં ઘણાં બાળકો સંક્રમિત થયાં છે, પરંતુ સારી વાત એ છે કે આ સમયમાં મૃત્યુદર ઓછો રહ્યો હતો. જોકે ત્રીજી લહેર વિશે પણ એવું જ માનવામાં આવે છે કે આગામી સમયમાં મૃત્યુદરમાં કોઈ ખાસ વધારો નહીં થાય. જોકે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરની બાળકો પર વધારે ખરાબ અસર થઈ શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!