કોરોના વાયરસની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ થયા છે. જેના કારણે વેપારીઓ અને મજૂરોની હાલત ખરાબ થઈ છે. ત્યારે આ વર્ષે પણ કોરોના વાયરસની મહામારીમાં ડીસા માર્કેટયાર્ડ બંધ થઈ જતા મજૂર વર્ગની હાલત કફોડી બની હતી. ત્યારે મંગળવારે ડીસા માર્કેટયાર્ડના મજૂરો પોતાની મજૂરીના ભાવમાં વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા.
બનાસકાંઠા જીલ્લો રાજસ્થાનને અડીને આવેલો જીલ્લો હોવાના કારણે મોટાભાગના મજૂરો અને વેપારીઓ વર્ષોથી બનાસકાંઠા જીલ્લામાં ધંધા-રોજગાર સાથે સંકળાયેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે તમામ ધંધા-રોજગારો બંધ હાલતમાં છે. જેથી બહારથી ધંધા અર્થે સ્થાયી થયેલા વેપારીઓ અને મજૂરોની હાલત કોરોના વાયરસની મહામારીમાં સૌથી વધુ ખરાબ થઇ ગઇ છે. ગુજરાતમાં ઉંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાય છે.
જેના કારણે રાજસ્થાન અને બનાસકાંઠા જીલ્લામાંથી ખેડૂતો મોટાભાગે પોતાનો પાક લઇને ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓને વેચવા માટે આવે છે. ત્યારે ખેડૂતો દ્વારા લાવવામાં આવતો માલ ઉતારવા અને ચડાવવા માટે સૌથી વધુ મજૂરોની જરૂરીયાત હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીમાં ૨૫ દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રહેતાં ડીસા માર્કેટયાર્ડમાંથી મોટાભાગના મજૂર વર્ગ પોતાના વતન તરફ જતા રહ્યા હતા.
ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાં માર્કેટયાર્ડ શરૂ થયા છે અને સ્થાનિક મજૂરો દ્વારા હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ ઉતારવામાં અને ચઢાવવામાં આવે છે. પરંતુ વેપારીઓ દ્વારા તેમની મજુરીના રૂપિયા ઓછા આપવામાં આવતા મંગળવારે ડીસા માર્કેટયાર્ડના તમામ મજૂરો ડીસા માર્કેટયાર્ડની ઓફીસ આગળ હડતાળ પર ઉતર્યા હતા અને વેપારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે મજૂરીના ભાવમાં વધારો કરવામાં આવે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઇ જોષીને પણ રજૂઆત કરાઇ હતી. ત્યારે આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઇ જોષીએ આ તમામ મજૂરોને મજૂરીના ભાવ વધારો કરાશે તેવી બાંહેધરી આપતા હડતાળ સમેટાઇ હતી.
From – Banaskantha Update