બનાસકાંઠા જિલ્લામાં કોલેજના યુવાનો કોરોના દર્દીઓના હમદર્દ બની ખબર અંતર પુછી રહ્યાં છે.
કોરોના વાયરસની બીજી લહેરમાં સક્રમણ વધ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા અને કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના સંક્રમિત વ્યક્તિઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર અને સંભાળ લેવામાં આવે છે પરંતું એકપણ દર્દી છૂટી ન જાય તે માટે ટીમ બનાસકાંઠા અને સદભાવના ગ્રુપ, પાલનપુર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં કોલેજના યુવાનો કોરોના દર્દીઓને ફોન કરી તેમના ખબર અંતર પુછી તેમના હમદર્દ બની રહ્યાં છે. આ માટે પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં કલેકટર આનંદ પટેલે કોવિડ-19 મોનીટરીંગ એન્ડ રિસ્પોન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડી રહ્યાં છીએ ત્યારે યુવા મિત્રો પાસે સમાજને ઘણી બધી આશાઓ – અપેક્ષાઓ હોય છે. આવી વિકટ પરિસ્થિતિમાં એક ભારતીય નાગરિક તરીકે સમાજને કંઇક અંશે મદદરૂપ બની કોરોના સામે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, યુવાનો સોશ્યલ મિડીયા પર ખુબ જ એક્ટીવ હોય છે તેવી જ રીતે સમાજ સેવા માટે પણ સક્રિય રહી કોરોના સામેના જંગમાં ઝુકાવી કોરોનાને હરાવીએ.
કલેકટરએ યુવાનોને સંબોધતાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ, સારવાર, રસીકરણ, કોન્ટેક્ટ ટ્રેસીંગ વગેરે કામ કરવામાં આવે છે. કોરોના સંક્રમિત દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તે માટે તમારી ભૂમિકા ખુબ અગત્યની છે.
તેમણે કહ્યું કે, આરોગ્ય કચેરી દ્વારા તમને કોરોના સંક્રમિત દર્દીઓની ફોન નંબર સાથે યાદી આપવામાં આવી છે. તે યાદીમાં જે વ્યક્તિનું નામ છે તેમને ફોન કરી પ્રેમથી ખબર-અંતર પુછીએ, ઘરે છો કે હોસ્પીટલમાં, ઘેર હોમ આઇસોલેશનમાં સારવાર લેતાં હોય તો આરોગ્યની ટીમે તમારી તપાસ કરી છે કે કેમ. આ તમામ વિગતોનું સતત સાત દિવસ સુધી ફોલોઅપ લેવાનું રહેશે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને વધુ સારવારની જરૂર જણાય તો હેલ્થના કંટ્રોલ રૂમને જાણ કરવા સહિતની કામગીરી એન.એસ.એસ. અને એન.સી.સી. ના યુવાનો કરશે.
કલેકટરએ આ સેવામાં જોડાયેલા યુવાનોના માતા-પિતાને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં તમારા દિકરા-દિકરીને કુદરતે સેવા કરવાની તક આપી છે ત્યારે તેમના એક કોલથી અનેક લોકોની જિંદગી બચાવી શકાશે. તેમણે કહ્યું કે, આપણે એકબીજાના સાથ અને સહકારથી બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર રાષ્ટ્રને કોરોનામુક્ત બનાવીએ.
આ પ્રસંગે સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઇ ચૌધરી, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. એસ. એમ. દેવ, એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગ સહિત આરોગ્યના અધિકારીઓ અને કોલેજના યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
From – Banaskantha Update