કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેરાશ છે. આ વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં વધ્યું છે. ત્યારે કોરોનાના આ કપરા સમયમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના સઘન પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાના મૂળ વતનીઓ અને મુંબઇમાં વસતા હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન તરફથી જિલ્લાને રૂ. 2.29 કરોડના મેડિકલના સાધનોની ભેળ મળી છે.
આ મેડીકલ સાધનોમાં રૂ. 11 લાખના એવા કુલ 15 વેન્ટીલેટર, 200 ઓક્શિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનીટર સહિતના અન્ય મેડીકલ સાધનો કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના હસ્તે જિલ્લા પંચાયતની આરોગ્ય કચેરીને આપવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાની બીજી મહામારીએ સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મે માહિતી મેળવી મુંબઇના હીરા- ઝવેરી બજારના વેપારીઓને વિનંતી કરી હતી કે, વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિંએ બનાસકાંઠા જિલ્લો ખુબ મોટો જિલ્લો છે. મારી માંગણીને ધ્યાને લઇ મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી નેશલન રિલીફ ફાઉન્ડેશન તરફથી રૂ. 11 લાખના એક એવા કુલ-16 વિપ્રો કંપનીના વેન્ટીલેટર, રૂ. 7 લાખના 200 ઓક્શિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનીટર સહિત રૂપિયા સવા બે કરોડથી વધુ રકમના મેડિકલ સાધનો આપણા જિલ્લાના લોકોની સારવાર માટે અપાયા છે.
તેમણે હીરા બજારના વેપારી સંજયભાઇ કોઠારી અને દાતાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, મુંબઇમાં વસતા આપણા હીરા બજારના વેપારીઓ પૂર, અછત કે કોરોના જેવી મહામારી જેવી કોઇપણ આફત આવે ત્યારે આપણને મદદરૂપ બન્યાં છે.
ચૌધરીએ કહ્યું કે, આપણા જિલ્લા સહિત સમગ્ર દેશ કોરોના મુક્ત બને અને સૌનું સારું આરોગ્ય જળવાય તે માટે ભગવાન અને મા અંબાને પ્રાર્થના કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2016માં નડાબેટ ખાતે એસ.આર.કે. ગ્રુપ સુરતની મદદથી બોર્ડર પર મા ભોમની રક્ષા કરતાં બી.એસ.એફ.ના જવાનોને સુવિધા પુરી પાડવા રૂ. 1.50 કરોડના વિવિધ સાધનો આપવામાં આવ્યા હતાં.
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ભારતના હીરા બજારમાં પાલનપુરવાસીઓનું બહુ મોટું યોગદાન છે. મુંબઇમાં રહેતા પાલનપુરના વતનીઓએ વતનનું ઋણ અદા કરવા માટે સવા બે કરોડની માતબર રકમના વેન્ટીલેટર, ઓક્શિજન કોન્સન્ટ્રે્ટર, મલ્ટીપેરા મોનીટર સહિતના મેડીકલના સાધનો જિલ્લાના લોકોની સારવાર માટે મળ્યાં છે. તેમણે કહ્યું કે, મુંબઇ જેમ્સ એન્ડ જવેલરી તરફથી મળેલા મેડિકલના સાધનો જિલ્લાના અંતરીયાળ ગામડા અને જરૂરીયાતમંદ વિસ્તારમાં પહોંચડવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના પ્રયત્નોથી સંજયભાઇ કોઠારી અને દાતાઓએ મેડિકલ સાધનો આપ્યા છે. કલેકટરે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના બીજા દાતાઓ પણ દાનની સરવાણી વહાવી રહ્યાં છે. અદાણી ફાઉન્ડેશનની મદદથી થરાદમાં ઓક્શિજન પ્લાજન્ટ નાખવામાં આવશે. ટોરેન્ટ સાથે ટાયપ કરવામાં આવ્યું છે. એમના તરફથી બે ઓક્શિજન પ્લામન્ટ મળવાના છે. કોરોના મહામારીના સમયમાં લોકોની સેવા માટે બનાસકાંઠા જિલ્લાના દાતાઓ સમાજ સેવા માટે આગળ આવી રહ્યાં છે. તે તમામનો કલેકટરે આભાર વ્યક્ત કર્યો હતો.