કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેરાશ છે. આ વાયસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ આપણા જિલ્લામાં પણ વધ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા તથા આ કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા રાજય સરકાર અને વહીવટી તંત્રની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો તથા ગ્રામજનો અથાક પરિશ્રમ કરી રહ્યાં છે. ઘણાં તો ગામ એવા છે કે જેઓ આ કોરોનાના કપરા સમયમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની વ્હારે આવી વિવિધ પ્રકારના સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગ્રામજનોએ કોરોના સંક્રમિત દર્દીઓને નિઃશુલ્ક ભોજન આપવાનો સંકલ્પ લીધો છે. આ ગ્રામજનોએ સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી કોરોનાનો કપરો સમય ચાલુ છે ત્યાં સુધી હોસ્પીટલોમાં ભોજન આપવાની સેવા ચાલુ રહેશે. આ ગામના સરપંચ માનચંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ ચૌધરી, યુવા અગ્રણીઓ ડૉ. ગણેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, દલજીભાઈ સહિત ગામનાં 40 જેટલાં યુવાનો ખડેપગે લોકોની સેવામાં ભોજન બનાવવાથી લઇ દર્દીઓ સુધી ટીફીન પહોંચાડવાની કામગીરીની વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.
છેલ્લા 10 દિવસથી વધુ સમયથી નિઃશુલ્ક ભોજનનો સેવાયજ્ઞ અવિરતપણે ચાલુ છે. તાલુકા પંચાયતના સભ્ય જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં રોજના 400 ટીફીનની માંગ રહેતી હતી. હવે રોજના દૈનિક 600 જેટલાં ટીફીન દર્દીઓના સગાવ્હાલા ફોન કરીને નોંધાવે તે રીતે અમે પહોંચાડીએ છીએ. ભોજનમાં રોટલી, પૂરી-શાક, ખીચડી, લાડુ, દૂધ પાઉચ, પાણીની બોટલ સાથેનું ટીફીન પાલનપુરની સીવીલ હોસ્પીટલ સહિત ખાનગી કોવિડ હોસ્પીટલો પહોંચાડવામાં આવે છે.
જયેશભાઇ ચૌધરીએ કહ્યું કે કોરોનાના કપરા સમયમાં ગ્રામજનોએ કોરોના સંક્રમિત લોકોને મદદરૂપ થવા માટે ટીફીન સેવા ચાલુ કરવાનું નક્કી કર્યુ, આ કાર્યમાં ગામના તમામ લોકોનો સહકાર મળતાં સવારે – 12 વાગ્યા સુધીમાં ગામની બહેનો પોતાના ઘરે જ ભોજન બનાવી આપે છે, ત્યારબાદ ગામના તમામ ઘરોમાંથી ગામની વાડીએ લગભગ 3,000 જેટલી રોટલીઓ એકઠી કરવામાં આવે છે.
2થી 4 વાગ્યાં સુધી ટીફીનનું પેકિંગ કરવામાં આવે છે અને સાંજે – 5 વાગ્યાથી ટીફીન વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવે છે. જેમા સૌથી પહેલાં 150 જેટલાં ટીફીન પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ત્યારબાદ પાલનપુર શહેરની અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં રહેલાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં ટીફીન વિનામૂલ્યે ગામના યુવાનો જઇને આપી આવે છે.
આ ટીફીન સેવાનો લાભ લેવા ઇચ્છતા કોરોના સંક્રમિત દર્દીઓના સગાવ્હાલાઓએ મોડામાં મોડા સાંજના – 5.30 વાગ્યા સુધીમાં સાગ્રોસણા ગામના યુવાનોના મો. નં. 8780491768, 9409213422, 9099161048 પર ફોન કરીને નોંધણી કરાવવી જરૂરી છે. આ ફોન નંબર પર ફોન કરી હોસ્પીટલનું નામ – સરનામું નોંધવવું જેથી સમયસર અને સરળતાથી ટીફીન પહોંચાડી શકાય.
આ સેવાયજ્ઞની બનાસકાંઠા જિલ્લામાં ચોમેર પ્રસંશા થઇ રહી છે અને કોરોના સંક્રમિત દર્દીઓના સગાવ્હાલા આ કાર્ય માટે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.
From – Banaskantha Update