કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ ઘટાડવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગામડાઓ કોરોના મુક્ત બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા.1 લી મે થી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાવ્યું છે. ગામડાઓમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે આજે થરાદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાહ, ભાચર પી.એચ.સી. કોવિડ કેર સેન્ટર અને ભલાસર કોવિડ કેર સેન્ટર સહિત વિવિધ ગામોમાં કાર્યરત કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું.
તેમણે ગ્રામજનોને આશ્વાસન અને હિંમત પુરી પાડતા જણાવ્યું કે, આ વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયા પ્રભાવિત થઇ છે ત્યારે જરા પણ ડર રાખ્યા વગર સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના સંક્રમિત લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ગામે ગામ કોવિડ કેર સેન્ટરો અને મોટા ગામો તથા તાલુકા કક્ષાએ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ સેન્ટરોમાં સારવાર લઇ આપણા પરિવારને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખીએ.
સાંસદની મુલાકાત પ્રસંગે થરાદ તાલુકા પંચાયત પ્રમુખ દાનાજી માળી, જિલ્લા પંચાયત સભ્ય માંગીલાલ પટેલ, થરાદ પ્રાંત અધિકારી વી. સી. બોડાણા, મામલતદાર દરજી, તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. જેપાલ, સરપંચઓ અને તલાટી કમ મંત્રી તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
From – Banaskantha Update