ડીસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમજ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે ડીસામાં ગઇકાલે એક મેડીકલ ધરાવતાં વેપારીનું કોરોના પોઝીટીવ આવતાં તેઓ સારવાર હેઠળ હતા અને ગઇકાલે તેમનું મોત નિપજતાં તેમના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું. બે પુત્રોએ માતા બાદ હવે પિતાની છત્રછાયા પણ ગુમાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક મેડીકલ સ્ટોર્સ ધરાવતાં કિશોરભાઇ મહેશ્વરીના પત્નીનું કેટલાંક વર્ષો અગાઉ મોત નિપજ્યું હતું અને તેઓ તેમના બે સંતાનોનો ઉછેર કરી રહ્યા હતા.
ત્યારે હાલમાં કોરોનાની મહામારીમાં તેઓ પણ કોરોના સંક્રમિત થતાં તેમની છેલ્લા કેટલાંક દિવસોથી સારવાર ચાલી રહી હતી. જો કે, ગઇકાલે કિશોરભાઇ કોરોના સામેની જંગ હારી ગયા હતા અને તેમનું મોત નિપજતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. સાથે સાથે બે પુત્રોએ પણ માતા બાદ હવે પિતાની છત્રછાયા ગુમાવતાં બંને પુત્રો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
From – Banaskantha Update