સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકારના દિશાનિર્દેશો અનુસાર વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે જિલ્લા વહીવવટી તંત્ર દ્વારા જિલ્લામાં સંખ્યાબંધ કોવિડ કેર સેન્ટરો અને મોટા ગામો તથા તાલુકા મથકોએ કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
કોરોનાના કપરા સમયમાં વડગામ તાલુકાના લોકોને પોતાના ગામની નજીકમાં જ સારી સારવાર અને દવાઓ મળી રહે તે માટે વડગામની સરકારી આયુર્વેદ હોસ્પીટલ કોરોના સંક્રમિત દર્દીઓ માટે આરોગ્ય સંજીવની બની છે. કોરોનાની બીજી લહેર શરૂ થઇ ત્યાર પછી સરકારી આયુર્વેદ હોસ્પીટલ વડગામને કોવિડ હેલ્થ સેન્ટરમાં ફેરવી ત્યાં 20 બેડની સુવિધા ઉભી કરી સારવાર શરૂ કરવામાં આવી છે.
જેમાં ઓક્સિજન સાથેના 10 બેડ અને આઈસોલેશન 10 બેડ, આમ કુલ – 20 બેડની સુવિધા છે. કોરોની બીજી લહેર શરૂ થઇ ત્યાર પછી આ કોવિડ હેલ્થ સેન્ટરમાં અત્યાર સુધી 78 કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતાં. તે પૈકી ઘણાં એવા પણ દર્દીઓ હતાં કે જેમનું ઓક્શિજન સેચ્યુરેશન ઓછું હતું.
મેડીકલ ઓફિસર ર્ડા. મેહુલ ચૌધરી, ર્ડા. કિરણ ભાલકીયા, ર્ડા.દિપેન ઠક્કર, તેમજ સી.એચ.ઓ. ર્ડા. વિશમિતા જાદવ, પુષ્પેન્દ્રસિંહ રાઠોડ, શૈલેશ ચૌધરી, ફિઝાલ મન્શૂરી, આષિશ ચાવડા, વિપુલસિંહ હડિયોલ જેવા અનેક ર્ડાકટરો અને ભાવનાબેન જેવા સેવાભાવી સ્ટાફ નર્સ બહેનોની રાઉન્ડ ધ ક્લોક ફરજના કારણે ઘણાં દર્દીઓને નવી જિંદગી મળી છે.
આ ર્ડાક્ટરોની સારવારથી છેલ્લા 15 દિવસમાં 30 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ બિલકુલ સ્વસ્થ થઈ ઘેર ગયા છે. જે હાલ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે. તેમજ જે દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત જણાઇ હતી તેવા 12 દર્દીઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત કોવિડ હોસ્પિટલોમાં રીફર કરાયા છે તેમજ અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ સરકારી આયુર્વેદ હોસ્પીટલ કમ કોવિડ હેલ્થ સેન્ટર વડગામના મેડીકલ ઓફિસર ડો. મેહુલભાઈ ચૌધરીએ જણાવ્યું છે.
From – Banaskantha Update