કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે.
કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.
ચામરાજનગર હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ત્યાં ઓક્સિજન પહોંચાડવામાં વિલંબ થયો, જેના કારણે આટલો મોતિ દુર્ઘટના સર્જાઇ. જણાવાયું છે કે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાય સમાપ્ત થયા બાદ તેઓ તડપી રહ્યા હતા અને તેઓ મોતને ભેટ્યા. મૃત્યુ પામનાર દર્દીના પરિવારના સભ્યોની રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ છે.
આ પહેલાં કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછતના કારણે ચાર દર્દીના મોત થયા હતા. તે જ દિવસે યજદિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટના કારણે એક વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાકટની ઘણી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે.
હાલમાં, કર્ણાટકમાં કારોના કેસની કુલ સંખ્યા 16 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 217 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા. કોરોનાના દર્દીઓને બેડ અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 8 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.