લોકોને ઘર આંગણે જ કોરોના સારવાર મળી રહે અને કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામડાઓમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે વડગામ તાલુકા કાણોદર, માહી અને છાપી સહિત વિવિધ ગામોમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ કેર અને કોવિડ હેલ્થ સેન્ટરોની મુલાકાત લઇ ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે કરવામાં આવેલ રહેવા- જમવા, સારવાર, દવાઓ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને સરપંચઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ પણ આપી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણે ફેલાય નહીં તે માટે મોટા ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સામાન્ય લક્ષણો જણાતા હોય તેવા તમામ લોકોને ઘરમાં નહીં પરંતું આ કોવિડ કેર સેન્ટરોમાં સારવાર મેળવવા કલેકટરએ ગ્રામજનોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવાનાર વ્યક્તિને વધુ સારવારની જરૂરીયાત ઉભી તેવા સંજોગોમાં કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પીટલમાં એમ્બ્યુલન્સ મારફત રિફર કરવામાં આવશે.
કોવિડ હેલ્થ સેન્ટરોમાં ઓક્શિજન, રેમડેસીવીર ઇન્જેક્શન સહિત તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાશે. તેમણે જણાવ્યું કે, દરેક ગામના સરપંચઓ ગામના યુવાનોની ટીમ બનાવી કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાવે તો ગામની ખુબ મોટી સેવા કરી ગણાશે. ગામની સુખાકારી માટે સરપંચઓ ગામમાં હોમીયોપેથીક દવાઓ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરાવે.
કલેકટરએ કોરોના પ્રતિરોધક રસી પર ભાર મુકતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આપણા ગામ અને જિલ્લાને આ મહામારીમાંથી બચાવવા રસીકરણ જ એક માત્ર ઉપાય છે ત્યારે ગામના એવા લોકોની યાદી બનાવવામાં આવે કે જે લોકો વિશાળ જનસમુદાય અથવા વધુ લોકોના સંપર્કમાં આવતા હોય તેમને અગ્રતાના ધોરણે રસી આપી સંક્રમણ અટકાવીએ.
From – Banaskantha Update