ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધા પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા બાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી છે. ડાયાબિટીસ, બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180 પહોંચી ગયું હતું છતાં વૃદ્ધાએ મજબૂત મનોબળ સાથે કોરોનાને હંફાવ્યો.

ઊંઝાના આલોક બંગ્લોઝમાં રહેતા બકુલેશ ભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કોરોના થયો હતો. તેમની સાથે ઘરમાં રહેતા 72 વર્ષના બન્ને આંખે નિહાળી ન શકતા તેમના માતા રઈબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ પણ સંક્રમિત થઈ ગયા હતા. બીપી અને ડાયાબિટીસ વૃદ્ધ માતાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઓક્સિજન લેવલ 60 સુધી જતું રહ્યું. જે બાદ તેમને તાત્કાલિક પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ડૉ.ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” 13 તારીખે રાત્રે જ્યારે પેશન્ટને એડમીટ કરવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ક્રિટીકલ હતી. માજી બંને આંખે ન દેખી શકતા હોવા છતાં સ્ટાફને સંપૂર્ણ સહકાર આપતાં હતા. દરરોજ 15 લિટર ઓક્સિજન થકી તેમનું ઓક્સિજન 90 જેટલું આવી ગયું હતું. તેમને રેમડેસીવીર અને પ્લાઝમાં થેરેપીની સારવાર કરવામાં આવી. માજીને દરરોજ ચાર કલાક ઊંધા સુવા માટે સમજાવ્યા અને રોજ 4 લીટર પાણી પીવડાવ્યું જેથી તેઓ 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી શક્યા છે.
From – Banaskantha Update