સુરતમાં ખાનગી હૉસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને તાવ આવતો હોવાથી ડૉક્ટરની દવા લીધી હતી.
જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે 2500માં સારું થઈ જશે એવું કહ્યું હતું. ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું.
આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા. જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે આવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.