કોરોના મહામારીની અસર જનજીવન પર તો થઇ જ રહી છે. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને પણ દાનની આવક બંધ થઇ જતાં પશુઓના નિભાવ માટે મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી રહ્યા છે.
ગતવર્ષે કોરાનાની મહામારીમાં રાજ્ય સરકારએ ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળનાં 4 લાખ પશુઓના નિભાવ માટે પ્રતિદિન પ્રતિ પશુ રૂા. 25ની રોકડ સહાય આપેલ હતી. જ્યારે કોરોનાની બીજી લહેરમાં ફરી એકવાર કોરોનાએ રાજ્ય અને દેશનાં ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી હાહાકાર મચાવ્યો છે.
જેને કારણે માનવ જીવન પર ભારે સંકટ આવી પડ્યું છે અને સરકાર તેમાંથી ઉગારવાના પ્રયત્નો પણ કરી રહી છે. જો કે, આ વખતે પણ ગૌશાળા અને પાંજરાપોળમાં મળનાર દાનની આવક બંધ થઇ ગઇ છે અને ગતવર્ષ કરતા પણ ખુબજ કફોડી હાલત બની છે.
જેથી સરકાર ગતવર્ષની જેમ બનાસકાંઠા સહિત રાજ્યના પશુઓના વહારે આવી યોગ્ય સહાય સત્વરે જાહેર કરે તેવી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી.
From – Banaskantha Update