બનાસકાંઠામાં ચાલી રહેલ કોરોનાના કપરા સમયમાં અલગ અલગ સંસ્થાઓ લોકોની સેવા માટે આગળ આવી રહી છે ત્યારે આદ્યશકિત હૉસ્પિટલ અંબાજી ખાતે દાખલ કરાયેલ કોવિડના દર્દીઓ માટે અંબાજી માર્બલ કર્વારી એસોસીએશન અને ફેક્ટરી એસોસીએશનના તરફથી વિવિધ સહાય આપવામાં આવી.
જેમાં ઓક્સિજન 20 સિલીન્ડર અને સેનેટાઈઝેશન પંપ આપવામાં આવ્યા છે. ઉપરાંત એસોસીએશન તરફથી એમ્બ્યુલન્સ વાન અને પાલનપુરથી ઓક્સિજન સિલીન્ડર ભરાવવા માટે અગાઉ પીક અપ વાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એસો. તરફથી રૂ.1.90 લાખનો હાઈ કેપેસીટીનો આર.ઓ.પ્લાન્ટ આપવા પણ સહમતિ દર્શાવી છે.
અંબાજી માર્બલ કર્વારી એસોસીએશન અને ફેકટરી એસોસીએશનના પ્રમુખ દીપકભાઈ પટેલ અને પ્રકાશભાઈ ભાટી સાથે દાંતા આયોજન અઘિકારી અને અધિક કલેકટર એ.ડી. ચૌહાણે મુલાકાત લઈ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પરામર્શ કરી હતી. જે અન્વયે એસોસીએશન તરફથી ઉમદા સહાય આપી પ્રેરણાદાઈ ઉદાહરણ પુરૂ પાડયુ છે.
ઉલ્લેખનીય છે કે આદ્યશકિત હોસ્પિટલ (કોટજ હોસ્પિટલ) અંબાજી ખાતે કોવિડના સ્ત્રી અને પુરૂષ દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ છે તે ઉપરાંત કોવિડની સામાન્ય અસર ધરાવતા દર્દીઓ માટે પણ અલગ વોર્ડ છે. દાખલ કરેલ દર્દીઓ માટે ડૉ. શોભાબહેન ખંડેલવાલ, ડૉ.રાજ સારસ્વત સાથે ડૉ. શર્માજી તાલુકા હેલ્થ ઓફીસર, ડૉ. જય પ્રજાપતિ અને સ્ટાફ કાળજીપૂર્વક દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
From – Banaskantha Update