બે મોટી બહેનોએ અગાઉ દીક્ષા લીધા બાદ ત્રીજી દીકરી પણ સંયમના માર્ગે, 12 વર્ષની આજ્ઞા લેશે દીક્ષા
જૈન ધર્મ પ્રેમીઓ માટે સુરત દીક્ષાનગરી બની રહ્યું છે. દીક્ષાના ભાવ જાગતાં શ્રાવક શ્રાવિકાઓ સંસારની મોહમાયા ત્યજીને ઓધો હાથમાં લઈને કઠિન ગણાતા સંયમી જીવન તરફ આગળ વધતા હોય છે. જેમાં એક સાથે 12 દીક્ષા યોજાવા જઈ રહી છે. આ દીક્ષામાં સુરતની મહેતા પરિવારની આજ્ઞા મહેતા પણ દીક્ષા લેનાર છે.
તમને જણાવી દઈએ કે, બે મોટી બહેનોએ અગાઉ દીક્ષા લીધા બાદ પરિવારની ત્રીજી દીકરી પણ દીક્ષા લઈને સંયમી જીવન જીવવા આગળ વધી રહી છે, ત્યારે પરિવારે પણ કઠણ હ્રદયે દીક્ષાના માર્ગને પ્રશસ્ત કરવા આજ્ઞાને મંજૂરી આપી છે. જ્યારે આચાર્ય ભગવંતોએ પણ મૂહુર્ત આપીને મુમુક્ષુને દીક્ષા માર્ગ પ્રશસ્ત કરવા અનુમોદના આપી છે ત્યારે 22મી મેના રોજ ભવ્ય દીક્ષા સમારંભમાં 12 મુમુક્ષુઓ સાથે આજ્ઞા મહેતા પણ દીક્ષા લઈને જૈન સાધુ-સાધ્વી મહારાજ સાહેબના માર્ગે આગળ વધશે.
આજ્ઞા વિપુલ મહેતાએ જણાવ્યું કે, મોટી બહેનોએ દીક્ષા લીધી ત્યારે ભાવ નહોતો. પરંતુ તેમની સાથે રહ્યા બાદ મને ભાવ જાગ્યો હતો. હું દુઃખથી કે સુખ મેળવવા દીક્ષાના માર્ગે આગળ નથી વધી રહી પરંતુ મને આ બધુ જોઈને ભાવ થઈ રહ્યો છે. મારા પરિવારના સંસ્કાર જ એવા છે. મને લાગે છે કે સંસ્કાર છોડવો ન પડે છૂટી જ જાય છે. કોઈ જીવને મારા તરફથી દુઃખ ન મળે તે માટે દીક્ષા લઈ રહું છે. પૂજય જીનપ્રિયજી મહારાજે મારામાં ભાવ જગાવ્યા છે મારે સેવન સ્ટારમાં જવાની જરૂર નહી પડે મારૂં જીવન જ સેવન સ્ટાર બની જવાનું છે.
મંજૂલાબેન મહેતાએ કહ્યું કે, માબાપને છોકરાઓ વ્હાલ જ હોય છે. મારા સંતાનોએ એમનો આવતો ભવ સુધારવો છે માટે અમે રજા આપી રહ્યા છીએ. અમારા માટે રજા આપવી સહેલી બાબત નથી પરંતુ સંતાનોના આવતા ભવને ધ્યાનમાં રાખીને રજા આપી છે.
વિપુલ રસિકલાલ મહેતાએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિના મૂળ આદર્સ ત્યાગીને ભોગવવાનો છે. ભગવાને રામ પણ અને કૃષ્ણએ પણ એ જ કર્યું હતું. આપણી સંસ્કૃતિમાં ત્યાગનું મહત્વ છે. અમારી ત્રણેય દીકરીઓને શ્રેષ્ઠ જીવન શૈલી આપવી હતી. પરંતુ તેમણે આ રસ્તો અપનાવ્યો છે. આગળ દીક્ષા લેનાર પણ ખુશ છે તો અમે આ દીકરીને પણ એ જ માર્ગે મોકલવા જઈ રહ્યા છીએ.