બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છતાં પણ દર્દીઓ આવતા હોવાથી સુરક્ષા પહેરો ગોઠવી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હોસ્પિટલમાં જગ્યા થયા પછી દર્દીઓને બોલાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધતા કોરોના સંક્રમણના કારણે કોરોના દર્દીઓમાં સતત વધારો થતાં હોસ્પિટલ આગળ હવે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. રોજેરોજ 250થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે. તેમાંય ખાસ કરીને હોટસ્પોટ વિસ્તાર એવા પાલનપુરમાં રોજના 60થી 70 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર માટે આવે છે. જોકે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલમાં 126 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
આ હોસ્પિટલમાં 126ની જગ્યાએ 190 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યાં છે. જેના કારણે ઓક્સિજન સહિતની સુવિધાઓ તમામ દર્દીઓને પૂરતી આપી શકાય તેવી સ્થિતિ નથી. તેમ છતાં પણ રોજેરોજ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેના કારણે હોસ્પિટલમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
જેને પગલે હવે સંચાલક મંડળ દ્વારા હોસ્પિટલના ગેટ આગળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની ફરજ પડી છે. જેથી હોસ્પિટલમાં પ્રવેશતા પહેલાં જ દર્દીઓ અને તેમના સગાઓને હોસ્પિટલની સ્થિતિ અંગે જાણકારી આપી શકાય અને તેનું રજિસ્ટ્રેશન કરી બાદમાં હોસ્પિટલમાં જગ્યા થયા પછી તેમનો સંપર્ક કરીને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી શકાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બનાસકાંઠા મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે કલેકટરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં 126 કેપેસિટીની સામે 190 જેવા દર્દી દાખલ છે. ઓક્સિજનની વાત કરીએ તો 80 પોઈન્ટ છે. એની સામે 115 દર્દીઓ છે જેમને ઓક્સિજન આપાઈ રહ્યો છે. આ સંજગોમાં અત્યારે કેપેસિટી ફૂલ થઈ ગઈ છે. હાલમાં કોઈ નવા દર્દી આવે તો સારવાર થાય એવી પરિસ્થિતિ નથી.
જેમ જેમ પેસેન્ટ અહીંથી સારો થાય તો એને અહીંથી ડિસ્ચાર્જ કરીએ તો નવા દર્દીને જગ્યા આપી શકીએ. એટલા માટે કલેક્ટરની સૂચનાથી સિવિલ હોસ્પિટલના ગેટ પર એક રજીસ્ટ્રેશન માટે સુવિધા ઉભી કરી છે. ત્યાંજ નવા આવનાર દર્દીઓના નામ નોંધવામાં આવે છે. જેમ જેમ અહીંયા જગ્યા ખાલી થાય તેમતેમ અમે દર્દીના સગાને જાણ કરી દર્દીને દાખલ કરવાની સુવિધા આપી રહ્યાં છીએ.
From – Banaskantha Update