કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી, બેઠકમાં કેટલાક મંત્રીઓએ આ મુદ્દે રજુઆત કરી હતી
ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ. નો દંડ વસુલવામાં ના આવે તેવી સૂચના આપવામાં આવી છે. આજ મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ આ સૂચના આપી છે. બેઠકમાં કેટલાક મંત્રીઓએ આ મુદ્દે રજુઆત કરી હતી.
માસ્ક સિવાય ટૂ વ્હીલરમાં 3 થી 4 હજાર અને ફોર વ્હીલરમાં 8 થી 10 હજારનો દંડ વસુલવામાં આવે છે. આ સિવાય વ્હીકલ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકોને હોસ્પિટલ જવા અવવામાં ખૂબ તકલીફ થાય છે. મંત્રીઓની ફરિયાદથી મુખ્યમંત્રીએ વાહન વ્યવહાર મંત્રી ફળદુ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહને સૂચના આપી છે. હાલ પૂરતો માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે.
કોરોનાની મહામારીમાં લોકો મુશ્કેલીમાં છે પણ બીજી બાજુ તંત્ર દંડ ઉઘરાવવામાં પડ્યું છે. અમદાવાદ શહેરમાંથી રોજના 200 આસપાસ વાહન ડિટેઇન થયેલા આરટીઓ કચેરીમાં આવી રહ્યા છે. ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે. લાઇન લગાવ્યા બાદ પણ નંબર આવે ત્યારે જો કોઈ દસ્તાવેજમાં એકાદ પણ પુરાવા ઘટ્યા તો બીજા દિવસે લાઈનમાં ઉભા રહેવું પડે છે. લોકો ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે.
આરટીઓ કચેરી પર વાહન છોડાવવા આવેલા લોકોએ પણ રોષ વ્યકત કર્યો છે. વાહન છોડાવવા માટે ઘરેથી આરટીઓ સુધી આવવા માટે 80 રૂપિયા થાય છે અને ત્રણ દિવસથી આવી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં amts અને brts બંધ છે. બાઇક ડિટેઇન થઈ છે કઈ રીતે કામ માટે બહાર જવું. વહેલી સવારથી લોકો પોતાનું વાહન છોડાવવા માટે કચેરી પર આવી જાય છે અને લોકોની ભીડ થાય છે ત્યારે સંક્રમણ વધવાનો ડર પણ સતાવી રહ્યો છે. 541 કેસમાં 19 લાખ, 99 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.