ગુજરાતમાં કોરોનાની કથળતી સ્થિતિ વચ્ચે આજે મુખ્યમંત્રી રૂપાણી ફેસબુકના માધ્યમ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વધી રહેલા કેસોને કારણે વ્યવસ્થા ઘટી રહી છે. સમગ્ર રાજ્યમાં દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટની, પ્રાઈવેટ કે કોઈપણ હોસ્પિટલ હોય ત્યાં દર્દીઓથી બેડ ભરાવા લાગ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોર કમિટીની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વેતન વધારાની જાહેરાત કરતા જણાવ્યું કે, દર્દીઓની સેવામાં રોકાયેલા વિવિધ સંવર્ગના કર્મચારીઓ અંગે નિર્ણય કર્યો છે. તજજ્ઞ ડોક્ટરોને માસિક અઢી લાખ આપશે. મેડિકલ ઓફિસરોને માસિક 1.25 લાખ, ડેન્ટિસ્ટોને માસિક રૂ. 40 હજાર, આયુષ ડોક્ટરો માટે 35 હજાર, હોમિયોપેથીના ડોક્ટરોને પણ 35 હજાર આપવામાં આવશે.
જ્યારે જૂનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ રે ટેકનિશિયન, ECG ટેકનિશિયનને માસિક રૂ.18 હજાર અને વર્ગ 4ના કર્મચારીને મહિને 15 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે આઉટ સોર્સિંગમાં કામ કરતી બહેનોને આગામી ત્રણ મહિના માટે મહિને 13 હજારને બદલે રૂ.20 હજાર માનદ વેતન પેટે આપવામાં આવશે.
જ્યારે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રી કહ્યું કે, હવે તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ, નર્સિંગ હોમ, ડોક્ટરો પોતાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપી શકશે. આગામી 15 જૂન સુધી કોવિડના દર્દીની સારવાર આપવાની મંજૂરી આપવામાં આવે છે. કોઈપણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે જાણ કરવાની રહેશે. તેમજ રાજ્યમાં કાર્યરત આર્મી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.
From – Banaskantha Update