ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા માનપુરીયા દૂધ મંડળીના મંત્રીની મનમાની સામે પશુપાલકોએ બાંયો ચડાવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા કંટાળેલા પશુપાલકોએ બે દિવસ અગાઉ મંડળીને તાળુ મારી દીધા બાદ આજે તમામ પશુપાલકોએ મંડળી આગળ દૂધ ઢોળી તંત્ર અને મંડળીના મંત્રી સામે રોષ ઠાલવ્યો હતો.
અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે આવેલી દૂધ મંડળીના પશુપાલક ગ્રાહકો મંત્રીની મનમાનીથી કંટાળી ગયા છે. સહકારી દૂધ મંડળીમાં નિયમ મુજબ સ્થાનિક મંડળી નો નફો અને સંઘનો નફો દર વર્ષે ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. પરંતુ આ દૂધ મંડળીમાં ગ્રાહકોને હજુ સુધી કોઈ જ નફો ન આપવામાં ન આવતા ગ્રાહકો રોષે ભરાયા હતા. આ મામલે સ્થાનિક પશુપાલકોએ બનાસડેરી સુધી ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરી હતી.
તેમ છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા ગ્રાહકોએ બે દિવસ અગાઉ દૂધ મંડળીને તાળુ મારી દીધું હતું. જોકે તાળું માર્યા ના બે દિવસ વિતવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા આજે આ મંડળીના તમામ ગ્રાહકોએ મંડળી આગળ દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો હતો. અને જ્યાં સુધી ગ્રાહકોને પોતાના હકનું નહીં મળે ત્યાં સુધી દૂધ મંડળીનું તાળું નહિ ખોલવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ કેટલાય લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તેમાં પશુપાલકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે માનપુરીયા દૂધ મંડળીને બે દિવસથી તાળું મારી દેતા તમામ ગ્રાહકોને દૂધ ક્યાં વેચવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અને દૂધ ન વેચતા ગ્રાહકોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ત્યારે બનાસ ડેરીએ તાત્કાલિક ધોરણે માનપુરીયા દૂધ મંડળીના ગ્રાહકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તેમની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ તેવી પશુપાલકોની માંગ છે.
From – Banaskantha Update