બનાસકાંઠાના ઢીમા પાસે આજે ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેમાં ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. દર વર્ષે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય છે.
આજે પણ કેનાલમાં પાણી છોડતાની સાથે જ ઢીમા પાસે આવેલ કેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડ્યું હતું. ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.
કેનાલની બાજુમાં જ રાયમલ પટેલનું ખેતર આવેલું છે. અને તેમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો. રાયમલે જણાવ્યું હતું કે આ કેનાલમાં સામાન્ય બાકોરું પાડ્યું હોવાના સમાચાર ત્રણ દિવસ અગાઉ નર્મદા વિભાગના અધિકારીઓને આપ્યા હતા.
પરંતુ ત્રણ દિવસ સુધી તેમની વાત ધ્યાને ન લેતા આખરે આ બાકોરાના કારણે 20 ફૂટનું ગાબડું પડ્યું હતું. અને લાખો લીટર પાણી વેડફાઇને ખેતરોમાં ફરી વળતા ખેડૂતને નુકશાન થયું હતું.
From – Banaskantha Update