દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચરમસીમાએ છે. પ.બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં તો બે તબક્કાની ચૂંટણી માટે મતદાન પણ સારા પ્રમાણમાં થઈ ચૂક્યુ છે. લોકશાહીના ઉત્સવ ગણાતાં પર્વમાં રાજકીય પક્ષોએ પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. ખાસ કરીને બંગાળ અને આસામ તેમજ કેરળમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વડાપ્રધાનથી માંડીને વિપક્ષી નેતાઓ અને મુખ્યમંત્રીઓનો કાફલો ચૂંટણી સભાઓને સંબોધીને રાજકીય વાતાવરણ પોતાની તરફે બનાવવા મહેનત કરી રહ્યાં છે. ગરમીના આ માહોલમાં ચૂંટણી પંચ પણ વધુ મતદાન થાય અને મતદાન મથકે કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે મહેનત કરી રહ્યું છે.
સંસ્કૃતમાં ઉક્તિ છે યથા રાજા તથા પ્રજા..માં સુધારો એ કરવાનો છે કે લોક પ્રતિનિધિ પણ પ્રજામાંથી ચૂંટાઈને જ આવે છે એટલેલ પ્રજામાંથી આવેલ પ્રતિનિધિ પણ પ્રજા જેવો જ હોય, જો પ્રજા મતદાન માટે ઉત્સાહિત ના હોય, લોકશાહીની તેને પડી ના હોય તો તેના શાસકો પણ લોકશાહીની કાળજી રાખે તેવી આશા રાખવી વધારે પડતી બને છે અને એટલા માટે જ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ છે અને પ્રજાએ જે ઉમેદવારો છે તેમાંથી ઓછો ખરાબ હોય તેવા ઉમેદવારને મત આપવો પડશે, નહી તો તમને નહીં ગમતા લોકો તમારા પર શાસન કરશે તેની શક્યતાઓ વધી જવાની છે.
જોકે, ચૂંટણી અંગે ઘણીવખત મતદારો ઉત્સાહીત હોતા નથી. એની પાછળ જાડી ચામડીના રાજકારણીઓ જે ચૂંટાયા પછી પ્રજાનું કામ કરવાનું ભૂલી જાય છે તે જવાબદાર છે. મતદારોને થાય છે કે ચૂંટાઈને કોઈપણ આવશે, કામ તો થતાં જ નથી. પછી વોટ આપવા જવાની તકલીફ શું કામ ઉઠાવવી ? વાત પણ કેટલેક અંશે સાચી જ છે. કામમાં એ જ વર્ષો જૂની ખખડધજ સ્કૂલ, પીવાના પાણીના કોઈ જ ઠેકાણા નહી, ગામને તાલુકા મથક સાથે જોડતી સડકો પણ તૂટેલી-ફૂટેલી, ગામમાં આરોગ્યની કોઈ સવલત નહી, બેરોજગારીનો પ્રશ્ન મો ફાડીને ઉભો હોય અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હોય. ત્યારે સ્વાભાવિક છે કે વોટ આપવાનો ઉમળકો ના આવે. જોકે લોકશાહીને જીવતી રાખવી હોય તો પ્રજાએ વોટ આપવો જરૂરી છે. લોકશાહીમાં હવે ઓછા ખરાબ વ્યક્તિને પસંદ કરવાનો સીલસીલો શરૂ થઈ રહયો છે.
એક વોટથી સરકાર પડયાનો દાખલો ભાજપની વાજપેયી સરકાર સાથે જોડાયેલો રહ્યો છે. 1999માં કેન્દ્રમાં ભાજપની વાજપેયી સરકાર ઘણીબધી પાર્ટીઓના ટેકાથી બની હતી. પરંતુ, સંસદમાં તામિલનાડુની પાર્ટી છૈંછડ્ઢસ્દ્બ વાજપેયી સરકારને ટેકો પાછો ખેંચી લેતાં સંસદમાં વાજપેયી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થયો હતો. આ પ્રસ્તાવ પર મતદાન થતાં વડાપ્રધાન વાજપેયીની તરફેણમાં 269 મત પડયા હતા જ્યારે વિરોધમાં 270 વોટ પડતાં એક વોટના કારણે વાજપેયીની સરકાર ટૂંક સમયમાં જ ઉથલી પડી હતી. આ તબક્કે એક મતની શું કિંમત હોય છે તેની ચર્ચા દેશભરમાં થઈ હતી.
એક વોટથી હારવાનો બીજો કિસ્સો રાજસ્થાનનો છે. 2008માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર સી.પી.જોષી ચૂંટણી લડતા હતાં. સી.પી.જોષી મુખ્યમંત્રીના દાવેદાર હતાં. પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે સી.પી.જોષીને 62215 વોટ મળ્યાં જ્યારે તેમના હરિફ કલ્યાણસિંહને 62216 વોટ મળ્યાં હતાં. આમ માત્ર મતને કારણે સી.પી.જોષી ચૂંટણી હારી ગયાં હતાં. નોંધપાત્ર બાબત એ હતી કે આ ચૂંટણીમાં સી.પી.જોષીની માતા, પત્ની અને ડ્રાયવરે મતદાન કર્યુ ન હતું. જો આ ઘરની ત્રણ વ્યક્તિઓએ મતદાન કર્યુ હોત તો સી.પી.જોષી ચૂંટણી જીતી ગયા હોત. ત્યારે મતદાન કરવા માટેનું આળસ કેટલું ગંભીર બને છે તેની ચર્ચા રાજસ્થાન સહિત દેશભરમાં થઈ હતી.
આવો જ એક મતથી હારનો કિસ્સો દક્ષિણ ભારતમાં પણ નોંધાયેલો છે. 2004માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જનતાદળ એસ માંથી ચૂંટણી લડતા એ.આર.કૃષ્ણમૂર્તિ માત્ર એક મતથી હાર્યા હતાં. આ ચૂંટણીમાં કૃષ્ણમૂર્તિને 40751 મત મળ્યા હતા જ્યારે તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર કે.આર.ધૃવનારાયણને 40752 મત મળતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ચૂંટણીમાં પણ રસપ્રદ વાત એ છે કે કૃષ્ણમૂર્તિના કાર ડ્રાયવરને કામના બોજ હેઠળ મતદાર કરવા માટેનો સમય ના મળતાં તેમને મતદાન કર્યુ ન હતું. આમ કૃષ્ણમૂર્તિના ડ્રાયવરના એક મતના અભાવે જ જાણે કૃષ્ણમૂર્તિ ચૂંટણી હારી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. અને ત્યારે ફરી એકવાર એક મતની શું કિંમત છે તેની ચર્ચા દેશભરમાં થઈ હતી.
વિદેશોમાં પણ એક મતના કારણે ચૂંટણીની બાજી પલટાઈ હોય તેવા કિસ્સાઓ બન્યાં છે. અમેરિકાના 17માં પ્રેસિડેન્ટ એન્ડ્રી જહેન્સન સામે ઓફિક્સ એક્ટ તોડવાના આરોપમાં ઈમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. 1968માં બનેલી આ ઘટનામાં માત્ર એક વોટ ઈમ્પીચમેન્ટની વિરુદદ્ધમાં પડતા પ્રેસીડેન્ટ જ્હોન્સન ઈમ્પીચમેન્ટની કાર્યવાહીથી બચી ગયા હતાં.
આવી જ બીજી ઘટના અમેરિકાના પ્રેસીડેન્ટની સાથે બની હતી. 1876 માં અમેરિકાના 19માં પ્રેસીડેન્ટની ચૂંટણીમાં રુથરફોર્ડને 185 મત મળ્યા હતાં, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સેમ્યુઅલ ટિલડેનને 184 મત મળતાં પ્રેસીડેન્ટ તરીકે રુથરફોર્ડ ચૂંટાયા હતાં. દુનિયાની મહાસત્તા અમેરિકાના પ્રેસીડેન્ટની ચૂંટણીમાં પણ એક મતનું કેટલું મહત્વ છે ? ત્યારે દુનિયાને ખબર પડી હતી.
બ્રિટનમાં 1911 માં પણ આવી જ એક ઘટના બની હતી. હેરોલ્ડ મોર નામના નેતાને એક મત ઓછો મળતાં પાર્લામેન્ટના મેમ્બર ચૂંટાઈ શક્યા ન હતાં.
આમ ચૂંટણીમાં એક મત પણ ક્યારેક મહત્વનો બની જતો હોય છે. આથી લોકશાહીમાં મતનું મૂલ્ય ક્યારેય ઓછું આંકવું ના જોઈએ.
From – Banaskantha Update