વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા આંકડાની માયાજાળ રચવામાં આવી રહી છે. જેના પુરાવા પોઝિટિવ કેસના આંકડા પરથી અનેક વખત મળી ગયા છે. ત્યારે હવે વધુ એક પુરાવો મૃતકોની સંખ્યામાં પણ મળ્યો છે. શહેરના સ્મશાનમાં છેલ્લા 7 દિવસમાં 161 મૃતકોના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઈન અનુસાર કરાયા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનામાં માત્ર 4 વ્યક્તિના મોત થયા હોવાનું જાહેર કરાયું છે. તો પછી 161 વ્યક્તિના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન અનુસાર કેમ કરાય છ તે પ્રશ્ન છે.
કોરોનાની સારવાર દરમિયાન મૃતકોના આંકડાની પણ માયાજાળ આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર 7 દિવસમાં માત્ર 4 વ્યક્તિના મોત થયા છે, તો તેની સામે શહેરમાં છેલ્લા સાત દિવસમાં 161 વ્યક્તિના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન અનુસાર કરવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, કોરોનાથી સાત દિવસમાં માત્ર ચાર જ વ્યક્તિના મોત થયા છે તો બાકીનાની અંતિમ વિધિ કોરોના ગાઈડલાઈન અનુસાર કેમ કરવામાં આવી હતી.
વડોદરા શહેર તેમજ રાજ્યમાં કોરોનાનું તાંડવ શરૂ થઈ ગયું છે. જે બાબતે સરકાર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર બેઠકો અને હોસ્પિટલની મુલાકાત કરીને સબ સલામત હૈ તો આભાસ કરાવવામાં વ્યસ્ત છે.
કોરોનાની ગાઈડલાઈન અનુસાર સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થાય તો મૃતકની અંતિમ વિધિ તાત્કાલીક કરવાની હોય છે. એટલું જ નહીં પરિવારમાંથી પણ માત્ર એક જ વ્યક્તિને અંતિમ વિધિમાં સાથે રાખવામાં આવે છે. તેમજ તેની માટે કોઈ જ સમય પણ જોવામાં આવતો નથી. તેવા સંજોગોમાં છેલ્લા કેટલાંક દિવસથી સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. પહેલા કોરોનાના મૃતકોની અંતિમ વિધિ માત્ર ગેસ કે ઈલેક્ટ્રીક ચીતા પર કરવામાં આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બગડતાં તેમની અંતિમ વિધિ લાકડાની ચીતા પર કરવાની પણ નોંબત આવી છે.
From – Banaskantha Update