અમેરિકાની બાઈડેન સરકાર દ્વારા તાજેતરમાં વૈશ્વિક સ્તરે માનવાધિકારની સ્થિતિ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ મુદ્દે સવાલ કરવામાં આવ્યા છે તો કેટલાક મુદ્દે વિવિધ દેશોના પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. વંશવાદનો સામનો કરી રહેલા અમેરિકાએ અન્ય દેશોના માનવાધિકારોની સ્થિતિ રજૂ કરતો “2020 કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યુમન રાઈટ્સ પ્રેક્ટિસિઝ” નામનો અહેવાલ રજૂ કર્યો હતો.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં હ્યુમન રાઈટ્સ અંગ ઘણી સમસ્યાઓ ચાલી રહી છે છતાં જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. બ્લિંકને જણાવ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ ઘણી સુધરી છે. ભારત સરકાર દ્વારા અહીંયા સામાન્ય સ્થિતિ થાય અને જનજીવન ધબકતું થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે અહીંયા પ્રતિબંધો દૂર થઈ રહ્યા છે. જાન્યુઆરીથી ઈન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ પણ દૂર થયો છે. અહીંયા રાજકીય કામગીરીઓ શરૂ થઈ ગઈ છે.
અમેરિકી રિપોર્ટમાં રશિયાની ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળની સરકાર દ્વારા રાજકીય વિરોધીઓ અને દેખાવકારોને કચડવામાં આવે છે. સીરિયામાં અસદ સરકારે લોકો ઉપર દમન કરવામાં કશું જ બાકી રાખ્યું નથી. આવા દેશોમાં માનવાધિકારોની સ્થિતિ અત્યંત ખરાબ છે.
ભારત અંગે અમેરિકી રિપોર્ટમાં તારણો :
= પોલીસ તરફથી ગેરકાયદે પૂછપરછ અને એન્કાઉન્ટર
= પોલીસ અને જેલ અધિકારીઓ દ્વારા અત્યાચાર
= મનમાની કરીને વિરોધીઓની ધરપકડ અને નજરબંધી
= જેલની સ્થિતિ કઠોર અને જીવલેણ
= કેટલાંક રાજ્યોમાં રાજકીય કેદ અને નજરબંધીનો ઉપયોગ
= અભિવ્યક્તિ અને પ્રેસની સ્વંત્રતા ઉપર પ્રતિબંધ
= ભ્રષ્ટાચાર અને ધાર્મિક સ્વતંત્રતાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે
= સરકારમાં તમામ સ્તરે ભ્રષ્ટાચાર
= મહિલાઓ સામેની હિંસામાં વધારો અને જવાબદેહી નહીંવત્