બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી બે દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ મુખ્ય કેનાલમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લુન્દ્રાની મુખ્ય કેનાલમાંથી યુવકની લાશ મળી આવી. ઘટનાને પગલે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દિયોદરની બંસીધર સોસાયટીમાં રહેતો 18 વર્ષીય પ્રતાપ ભગવાનભાઈ ચાવડા નામનો યુવક બે દિવસ અગાઉ કામનું કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડી સાંજ સુધી તે પરત ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ તેમ છતાં પણ પ્રતાપની કોઈ જ માહિતી ન મળતા આખરે દિયોદર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.
જ્યારે આજે વહેલી સવારે લુદ્રા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા ઘટનાસ્થળે તેના પરિવારજનો અને આજુબાજુના લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. બનાવને પગલે દિયોદર પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
From – Banaskantha Update