દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસ માથું ઉચકવા લાગ્યો છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં લોકડાઉન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રાત્રી કરફ્યુ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હજી સ્થિતિ વકરે તેવી ભિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આજે બપોરે 12 વાગ્યે પીએમ મોદીની આ બેઠક શરૂ કરશે.
કોરોના વાયરસ રસીકરણ શરૂ થયા બાદ પીએમ મોદી પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન રસીકરણમાં ઝડપ લાવવા અને તેમાં આવનારી સમસ્યાઓ ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થનારી પીએમ મોદીની આ બેઠકમાં મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થઈ શકે છે. પીએમ મોદી સાથે થનારી બેઠકમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા પર ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે.
કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ટ્રેકિંગ, ટેસ્ટિંગ, અલગ અલગ મામલા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જરૂરી છે.
From – Banaskantha Update