કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, સરકારી બેન્કોના વિલીનીકરણ કે ખાનગીકરણથી કર્મચારીઓના હિત જોખમાશે નહીં કારણ કે આ નિર્ણયો ઉતાવળે લેવાયા નથી. સરકાર બધી બેન્કોનું ખાનગીકરણ કરવા જઈ રહી નથી. બેન્કોના વિલીનીકરણનો નિર્ણય રાતોરાત લેવાઈ જતો નથી. જે બેન્કોનું ખાનગીકરણ કરાશે તેમના કામ પણ યથાવત્ ચાલુ જ રહેશે. તેમના કર્મચારીઓના હિતોની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરશે.
સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓના 9 સંગઠનોની એકછત્રી સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા શરૂ કરાયેલી દેશવ્યાપી હડતાળના બીજા દિવસે બેન્ક યુનિયનોએ ચેતવણી ઉચ્ચારી હતી કે બેન્ક કર્મચારીઓનું આંદોલન 3 કૃષિ કાયદાના વિરોધમાં નવેમ્બર 2020થી ચાલી રહેલા ખેડૂત આંદોલન જેવું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આંદોલનના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓએ દેશભરના રાજ્યોમાં સરકારી બેન્કો બચાવોના નારા સાથે દેખાવો કર્યાં હતાં. સતત બીજા દિવસે બેન્કોની કેશ વિડ્રોઅલ, ચેક ક્લિયરન્સ સહિતની મહત્ત્વની સેવાઓ પર અસર પડી હતી. મંગળવારે હજારો કરોડ રૂપિયાના ચેક ક્લિયરન્સ અટવાઈ ગયા હતા.
ખાનગીકરણથી કર્મચારીઓના હિત જોખમાશે નહીં : કેન્દ્રીય નાણામંત્રી
From – Banaskantha Update