બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી સગીરાની સમતી વિના જ ગર્ભપાત કરાવવાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
સમગ્ર મામલે સગીરાએ સગીરાની જાણબહાર ગર્ભપાત કરાવનારાં ત્રણ લોકો સહિત તબીબ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આકેડી ગામે રહેતા દિનેશ સોલંકી નામના શખ્સે એક સગીરાને ચાકુ બતાવી તેને પંચાયતના જર્જરિત મકાનમાં લઇ ગયો અને ત્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ” જો આ વાત કોઈને કરીશ તો તારા ભાઈને મારી નાખીશ” તેવી ધમકીઓ આપી જેથી ભયભીત થયેલી સગીરાએ આ વાત કોઈને કરી નહીં.
ત્રણ દિવસ બાદ ફરી દિનેશ સગીરાને તે જ જગ્યા પર લઇ જઇ ફરી દુષ્કર્મ આચર્યું અને સગીરાને 6 માસનો ગર્ભ રહી ગયો. જો કે તે બાદ દિનેશ અને તેની સાથે મોતીભાઈ સોલંકી અને મૂળીબેન સોલંકીએ મળી સગીરાની સંમતિ વિના જ તેને પાલનપુરના ડોક્ટર હાઉસમાં આવેલી ઇવા કેર નામની હૉસ્પિટલમાં લાવી તેનો ગર્ભપાત કરાવી દિધો.
જોકે આ પરિસ્થિતિઓ વીતવા છતાં દિનેશની ધમકીઓથી ભયભીત થયેલી સગીરાએ આ સમગ્ર મામલાની જાણ કોઈને કરી નહીં પરંતુ આડોશી પાડોશી દ્વારા સગીરાના ભાઇને મામલાની જાણ થતા ભાઈ બહેનના પડખે આવ્યો.
બહેનને હિમ્મત આપતા સગીરાએ તેની સાથે દુષ્કર્મ ગુજારનાર આકેડીના દિનેશ સોલંકી તેમજ ગર્ભપાત કરાવવામાં દિનેશને મદદરૂપ થનારા મોતીભાઈ સોલંકી મુળીબેન સોલંકી અને ઈવા કેર હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update