બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટા બાદ શક્કર ટેટીની ખેતીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં શક્કર ટેટીનું વાવેતર કર્યું છે. ખેડૂતો શક્કર ટેટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને માત્ર લોલીપોપ જણાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીનો સામનો કરતો જિલ્લો છે. પરંતુ આ જિલ્લાના ખેડૂતોના ખમીરને પગલે કૃષિ ક્રાંતિ સર્જાઇ છે અને અહીંયા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી કૃષિ ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાક માનવામાં આવતા બટાટામાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને તેનાથી વ્યાકુળ બનેલા ખેડૂતોએ આવકના સાધન તરીકે શક્કર ટેટીની ખેતી તરફ ઝુકાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં શક્કર ટેટીનું વાવેતર પાંચ ગણું વધી ગયું છે. સ્થાનિક ખેડૂતોનું માનીએ તો શક્કર ટેટીનો પાક ખેડૂતોને સારું એવું વળતર આપતો હોવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો ઝોક હવે શક્કર ટેટીની ખેતી તરફ વધી રહ્યો છે. શક્કર ટેટીની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે નવી ખેતી છે. પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ શક્કર ટેટીની ખેતી કરવાની ઢબને અપનાવી દીધી છે. ટેટીની ખેતી કરતાં પહેલા જમીનને સમતલ કરવામાં આવે છે ત્યારબાદ મલચીંગ એટલે કે જ્યાં શક્કર ટેટીના છોડનું વાવેતર કરવામાં આવે છે તે જગ્યાને પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે. અને ત્યારબાદ લગભગ પચાસ દિવસ પછી શક્કર ટેટીની આવક શરૂ થઈ જાય છે.
ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે શક્કર ટેટીનું વાવેતર ખૂબ જ મોટી પ્રમાણમાં થયું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા હોવાથી શક્કર ટેટીના ઉત્પાદન પર તેની અસર ચોક્કસ જોવા મળશે. આ ઉપરાંત સરકાર પણ સબસિડી આપવામાં ભેદભાવ રાખતી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂત કૈલાશભાઈ માળીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગત વર્ષે 800 જેટલા ખેડૂતોએ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું પરંતુ સરકાર દ્વારા માત્ર આઠેક ખેડૂતોને સબસિડીનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે બાકીના ખેડૂતો સબસિડીથી વંચિત રહી ગયા હતા.
ઉનાળાની શરૂઆત થતાં જ ડીસા શહેરમાં શક્કરટેટી અને તરબૂચનો મોટા પ્રમાણમાં વાવેતર થાય છે વર્ષો પહેલા નદીના પટમાં ખેડૂતો શક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરતા હતા પરંતુ સમય બદલાતા અને ટેકનોલોજીમાં વધારો થતાં હાલમાં ખેડૂતો પોતાના ખેતરમાં જ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કરી રહ્યા છે ત્યારે આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે હાલમાં ડીસા તાલુકામાં મોટા પ્રમાણમાં શક્કરટેટી અને તડબુચનું વાવેતર કરવામાં આવી છે.
ખાસ કરીને સૌથી વધુ ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી શક્કરટેટીનું વાવેતર કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને નવી ટેકનીક આપવામાં આવી છે જેમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં સીધે સીધા શક્કરટેટીના 20 દિવસ અગાઉ તૈયાર કરેલા છોડ ઉગાડવામાં આવી રહ્યા છે જેના કારણે તેનું વાવેતર દિવસ પહેલાં જ ખેડૂતોને મળી રહેશે અને જેના કારણે બજારમાં પણ ખેડૂતોને સારી એવી આવક મળી રહેશે ખાસ કરીને આ વર્ષે પાણીની મોટી અછત હોવાના કારણે તમામ ખેડૂતો મલચિંગ અને ટપક પદ્ધતિથી શક્કરટેટીનું વાવેતર કરે જેનાથી શક્કરટેટીનું વાવેતર પણ સારું એવું મળી રહે અને પાણીની પણ બચત કરી શકાય.

From – Banaskantha Update