“ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેવા સંશોધનો કરી ખેડુતોની આવક વધારવા પરિણામદાયી કામગીરી કરીએ” – કુલપતિ ર્ડા.આર.એમ.ચૌહાણ
ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. આર. એમ. ચૌહાણના અધ્યક્ષસ્થાને 47મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કુલપતિએ કૃષિ વૈજ્ઞાનિકોને આહવાન કરતાં જણાવ્યું કે, ખેતીના વ્યવસાયમાં દિવસે દિવસે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે ત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તેવા સંશોધનો કરી ખેડુતોની આવક વધારવા પરિણામદાયી કામગીરી કરીએ.
તેમણે કિચન ગાર્ડનીંગ અને આંતરપાકની વાવણી પર ભાર મુકતાં જણાવ્યું કે, ખેડુતના ખેતરમાં ટ્યુબવેલની આજુબાજુમાં ખાલી પડી રહેલી જમીનમાં કિચન ગાર્ડન બનાવી તેમાં અલગ અલગ સીઝન પ્રમાણે શાકભાજી વાવવામાં આવે તથા જે પાકમાં બે છોડ વચ્ચે જગ્યા રહેતી હોય તેમાં આંતરપાક તરીકે જુદા જુદા પાકોથી વધારાની આવક મેળવી શકાય છે.
તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતરોનો આડેધડ કરવામાં આવતો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી ખેતીને નફાકારક બનાવી શકાય તે અંગે ખેડુતોને ભલામણ કરવામાં આવે તે જરૂરી છે. ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ખેડુતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી આ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે કુલપતિએ સંતોષ વ્યક્ત કરી ર્ડા. યોગેશ પવાર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
આ બેઠકમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત દિવેલા, રાઇ, મગફળી વગેરે બિયારણોના નિદર્શન, હાઇબ્રીડ નેપીયર ઘાસ, કાંકરેજ ગાયમાં કૃત્રિમ બીજદાન, એઝોલા પીનાટા, બાગાયતી પાકોમાં આવતા રોગોનું નિયંત્રણ, મરચા અને શક્કરટેટીનો આંતરપાક, બટાટામાં લસણનો આંતરપાક, સ્ટ્રોબેરીની ખેતી, મશરૂમ, સુંગધિત ખેતી જીરેનિયમ સહિતના નવા પાકો દ્વારા કેવી રીતે વધુ આવક મેળવી શકે તેની વૈજ્ઞાનિકો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. વી. ટી. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટીસ્ટ ર્ડા. વી. વી. પ્રજાપતિ, બટાટા સંશોધન કેન્દ્રના સિનિયર સાયન્ટીસ્ટ ર્ડા. આર.એન.પટેલ, ડીસાના સામાજિક કાર્યકર ર્ડા નવીન શાહ, પ્રગતિશીલ ખેડુત કનવરજી વાધણીયા, કાંતિલાલ પરમાર સહિત કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતાં.
From – Banaskantha Update