છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વેક્સિનેશન દરમિયાન બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું હતું જેમાં પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ પી.એચ.સી ખાતે વેક્સિન લીધા બાદ એક આશાવર્કર બહેનને રિએક્શન આવતા ગભરામણ બાદ ચક્કર આવ્યા હતા અને બોડેલી તાલુકાના સુર્યાઘોડા સેન્ટરમાં એક આશા વર્કર બહેનને પેટમાં દુખાવો અને ચક્કર આવતા ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જોકે સારૂ થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિકાસ રંજને જણાવ્યું હતું કે, શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ વેક્સિન લીધા પછી એક આશા વર્કર બહેનને ગભરામણ અને ચક્કર આવ્યા હતા. જેથી તેમને બોટલ ચડાવવામાં આવી હતી. અને સારૂ થઇ જતા સાંજે રજા આપવામાં આવી હતી.
શનિવારથી શરૂ થયેલા કોરોના રસીકરણમાં પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ પીએચસી ખાતે સેન્ટર ફાળવ્યું હતું. સુસ્કાલ પીએચસીના મેડિકલ ઓફિસર ડો.જ્યોતિબેન રાઠવાને સૌપ્રથમ રસી મૂકવામાં આવી હતી. કોવિડ રસિકરણના કાર્યક્રમમાં સુસ્કાલ ખાતે 81 વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરાયું હતું. જેમાંથી 19 જેટલા આરોગ્ય કર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં ટીએચઓ વિકાસ રંજન, મેડિકલ ઓફિસર સહિતના આરોગ્ય કર્મીઓ સામેલ હતા. રસીકરણ બાદ તમામને અડધા કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન એક આશાવર્કર બહેનને રિએક્શન આવ્યું હતું. આશાવર્કર બહેનને ચક્કર આવ્યા હતા અને ગભરામણ થવા લાગી હતી. જેથી તેમને સારવાર આપ્યા બાદ સારૂ થઇ જતા રજા આપવામાં આવી હતી.
છોટાઉદેપુરના સૂર્યાઘોડા ખાતે રાજ્યના મંત્રી જયદ્રથસિંહ પરમારની હાજરીમાં વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સૌ પ્રથમ સંખેડા તાલુકાના ઇન્દ્રાલ સબ સેન્ટરના એફ.એ.ડબ્લ્યુ ફરઝાનાબેન મન્સૂરી, કલારાણીના 108 ઈ.એમ.ટી. નરેશ સોલંકી, તેમજ બોડેલીનાં આયુષ એમ.ઓ. ડો.મેહુલ રાઠવાએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોનાની રસીકરણની પહેલ કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ સેન્ટર પર કુલ 264 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. કોરોના વાઈરસ રસીકરણના મહાભિયાન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં 3 રસીકરણ કેન્દ્રોમાં 64 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું રસીકરણ કરવામાં આવ્યું હતું. પાલસંડા પીએચસી ખાતે 30, સુસ્કાલ પીએચસી ખાતે 19 અને સૂર્યાઘોડા પીએચસી ખાતે 15 મળી કુલ 64 ફ્રન્ટલાઇન વોરિયર્સનું રસીકરણ કરવામાં આવ્યું છે.