બનાસકાંઠા પોલીસે કોથળામાં ભરેલ લાશનો ભેદ ઉકલી લીધો આરોપીને પોલીસે ઝડપી લીધો
દિયોદરના ગોદા પાસે નર્મદાની મુખ્ય કેનાલના સાયફનમાં કોથળામાં ઇંટો ભરીને તારથી બાંધેલી હાલતમાં પૂજા ઠાકોર નામની પરણિતાની લાશ મળી હતી. મૃતક પૂજા ઠાકોરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પરિણીતાની હત્યા તેના પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પ્રેમી મહેન્દ્ર ઠાકોરે પૂજાને મોબાઈલ આપવાના બહાને ઓગડજી મંદિર પાસે બોલાવી હતી. જે દરમિયાન બોલાચાલી થતાં પૂજાની ગળું દબાવી હત્યા કરી હતી અને મિત્રને બોલાવી લાશને કોથળામાં બાધી કેનાલમાં ફેકી દીધી હતી. પોલીસે આરોપી પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
3 જાન્યુઆરીએ પરણિતા પૂજાની મહેન્દ્ર ઠાકોર નામના યુવકે હત્યા કરી હતી
મોબાઈલ આપવાના બહાને પૂજાને બોલાવી હતી અને ગળું દબાવી દીધું હતું
પરણિતાની 4 મહિના પહેલા આરોપી સાથે મિત્રતા થઇ હતી
ડીવાયએસપી પીએચ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પૂજાબેન આજથી ત્રણ-ચાર મહિના પહેલા ઓગડ મંદિરની બાજુમાં તેમના પતિ સાથે નોકરી કરતા હતા. ત્યારે એ જ ગામના મહેન્દ્ર મગનજી ઠાકોર સાથે મિત્રતા થઇ હતી અને એ મિત્રતામાં અવાર-નવાર મળતા હતા. ગત 3 જાન્યુઆરીના રોજ મહેન્દ્રએ પરણિતાને બોલાવી હતી અને મોબાઈલ આપવાની વાત કરી હતી.
હત્યા કરી મહેન્દ્ર જતો રહ્યો અને રાત્રે લાશને સગેવગે કરી
ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, મોબાઈલ માટે પરણિતા ત્યાં આવી હતી. મહેન્દ્ર અને પરણિતા ઓગડ મંદિરની પાછળની ઝાડીમાં બેઠા હતા. જે દરમિયાન પરણિતાએ મોબાઈલ માગ્યો હતો. મહેન્દ્રએ મોબાઈલ ન આપતા ઉગ્ર ઝગડો થયો હતો અને મહેન્દ્રએ ગળું દબાવી પરણિતાની હત્યા કરી હતી. લાશ ત્યાં જ મુકી મહેન્દ્ર જતો રહ્યો હતો. બાદમાં સાંજે કુટુંબીભાઈ જેણાજી હીરાજી ઠાકોર તેને બોલાવ્યો હતો અને રાત્રીના સમયે બન્નેએ લાશને કોથળામાં ઇંટો સાથે ભરી વાયરથી બાંધીને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી. ત્યારબાદ આરોપીઓની શોધખોળ કરી અટક કરવામાં આવી છે.
12 જાન્યુઆરીએ પરણિતાની લાશ કેનાલમાંથી મળી હતી
તેરવાડા ગામના ચંદુજી વાહજીજી ઠાકોરની દીકરી પૂજાબેનના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે વિનાજી ચમનજી ઠાકોર સાથે થયા હતા. ત્યારે 3 જાન્યુ.ના રોજ પરિણીતા તેના સાસરે ડુંગરાસણ ગામે હતા ત્યાંથી ગુમ થયા હતા. જે અંગે પરિણીતાના સાસરીયાઓએ 4 જાન્યુ.ના રોજ તેરવાડા પરિણીતાના પિતાના ઘરે ગુમ થયા અંગે જાણ કરી હતી. જે દરમિયાન 12 જાન્યુઆરીના રોજ ઓગડપરા નર્મદા કેનાલના સાયફનમાંથી પૂજાબેનની લાશ મળી આવી હતી. લાશ એક કોથળામાંથી મળી આવી હતી. કોથળામાં 7 જેટલી ઇંટો મૂકવામાં આવી હતી અને કોથળાને લોંખડના તારથી બાંધવામાં આવ્યો હતો.