કાંકરેજી ગૌવંશના ઉત્તમ સંવર્ધન માટે ભારતભરમાં પ્રખ્યાત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનાં “પશુ સંશોધન કેન્દ્ર”ને રાષ્ટ્રીય પશુ આનુવંશીક સંધાન બ્યુરો (એન.બી.એ.જી.આર) કરનાલ, હરિયાણા રાજ્ય સ્થિત રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન (ભારત સરકાર) દ્વારા 23 ડીસેમ્બર, “ખેડૂત દિવસ”-2020ના રોજ (ઓલાદ સંરક્ષણ એવોર્ડ) “શ્રેષ્ઠ નસ્લ સંવર્ધન પુરસ્કાર” એનાયત થયો હતો. સંસ્થાગત શ્રેણીમાં ભારતભરમાંથી કુલ-17 દેશી ગાયોનું સંવર્ધન કરતી સંસ્થાઓએ રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજી કરી હતી. જે પૈકી દાંતીવાડા પશુ સંશોધન કેન્દ્રની પસંદગી થઇ હતી.
આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રનાં સંશોધન વૈજ્ઞાનિકશ્રી અને વડા ડૉ.એચ.એચ.પંચાસરાના જણાવ્યાં અનુસાર આ કેન્દ્રની સ્થાપના વર્ષ-1978માં થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ કાંકરેજી ઓલાદની ગાયોનું શ્રેષ્ઠ સંવર્ધન, ઉત્તમ પાલન થકી ઉત્પાદન ક્ષમતા વધારવાનો છે. જે થકી 41 વર્ષમાં કેન્દ્ર પરના તમામ વૈજ્ઞાનિકો અને કર્મચારીઓના અથાગ પ્રયત્નો થકી વેતર દીઠ દૂધ ઉત્પાદન 978 લીટરથી વધીને હાલમાં 2,650 લીટરે પહોચ્યું છે, એટલે કે દૂધ ઉત્પાદન ક્ષમતામાં અઢી ગણો નોંધપાત્ર વધારો થયો છે.
આ ઉપરાંત વર્ષ 2009માં ક્ષેત્રિય કક્ષાએ સંતતિ પરીક્ષણના કાર્યક્રમની પણ શરૂઆત થયેલ છે. જે થકી દેશી કાંકરેજી ગાયોનું સંવર્ધન કરતાં પશુપાલકોને ક્રૃત્રિમ બીજદાન માટેના ડોઝ અને ઉત્તમ નંદી પણ રહે છે. અત્યાર સુધી સંશોધન કેન્દ્ર દ્વારા 310 ઉત્તમ નંદી પશુપાલકોને ગ્રામ્ય કક્ષાએ ગાયોનાં શ્રેષ્ઠ સંવર્ધન માટે ફાળવેલ છે. આમ કાંકરેજ ગાયો માટે ઉત્તમ સંશોધન અને જાળવણી માટે આ રાષ્ટ્રીય પુરસ્કાર ભારત સરકારના એકમ દ્વારા એનાયત થયેલો છે. જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે.
From – Banaskantha Update