થરાદના અભેપુરા ગામે બે વર્ષ પહેલા ભત્રીજાએ સગા કાકાને માથાના કપાળના ભાગે કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં મૃતકના ભાઈએ ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ગુરુવારે એડિશનલ ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં ન્યાયાધીશે હત્યારાને આજીવન કેદની સજા તેમજ રૂ.10,000નો દંડ ફટકાર્યો હતો. થરાદ નજીક આવેલા અભેપુરા ગામે તારીખ 26 નવેમ્બર 2018ના રોજ બનેલી ઘટનાની વિગતો અેવી છે કે, સગા ચાર ભાઈઓમાં સૌથી મોટો સુબાભાઈ ઠાકોરનું ગુન્હો બન્યાને દશેક વર્ષના સમય પહેલા અવસાન થયું હતું.
આથી તેઓની પત્ની વિધવા થયા હતા. તેમનો પુત્ર ભગવાનભાઇ સુબાજી ઠાકોરને પોતાની વિધવા માતા સાથે કાકા જવાનભાઇના આડા સબંધો હોવાનો વહેમ હોઇ કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થતી હતી. જ્યાં સાંજના સમયે મૃતકની માતા પડોશી મહિલાના ઘરે ગઈ હતી તેવા સમયે હત્યારો ભત્રીજો ભગવાન સુબાજી ઠાકોરે તેઓના કાકા જવાનભાઇ સાથે બોલાચાલી કરવાનું શરૂ કરી એકદમ ઉશ્કેરાઇ હાથમાં કુહાડી લઈ કાકા જવાનભાઈ મગનભાઈ ચાવડા (ઠાકોર)ને માથાના કપાળના ભાગે કુહાડી વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ અંગે ખેત મજૂરીએ ગયેલા મૃતકના મોટાભાઈ હરખાભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ મગનભાઈએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે હત્યારા ભગવાન સુબા ઠાકોર સામે ઇપીકો કલમ 302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ કેસનો બે વર્ષ બાદ ગુરૂવારે ચુકાદો આવ્યો હતો. જ્યાં એડિશનલ સેશન્સ કોર્ટમાં ગુરુવારે કેશ ચાલી જતાં ન્યાયાધીશ ડી.એસ.પરમારે સરકારી વકીલ આર.ડી.જોષીની દલીલો ગ્રાહ્ય રાખી હત્યારા આરોપી ભગવાન સૂબા ઠાકોરને આજીવન કેદની સજા અને રૂપિયા દશ હજારનો દંડ તેમજ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી હતી.
સરકારી વકીલ આર ડી જોષીએ જણાવ્યું કે હાલના સમયમાં ખૂન તેમજ ધાડ જેવા ગંભીર ગુન્હાઓનું પ્રમાણ વધ્યું છે.આવા બનતા ગંભીર ગુન્હાઓને અટકાવવા ગંભીર ગુન્હેગાર આરોપીઓને સખતમાં સખત કેદની સજા થવી જોઈએ.જેથી પંથકમાં ગંભીર પ્રકારના બનતા ગુન્હાઓ અટકી શકે.
From – Banaskantha Update