દાંતાના કણબીયાવાસમાં ત્રણ વર્ષ અગાઉ બારમાના નાણાંના મુદ્દે એક શખ્સે છરીના ઘા ઝીંકી તેના કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની સાતમી એડિશનલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે શુક્રવારે હત્યારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. દાંતા તાલુકાના કણબીયાવાસ ગામે 28 ડિસેમ્બર 2017ના રોજ બનેલી ઘટનાની વિગતો એવી છે કે,
ગામના જેથાભાઇ ભેમાભાઇ ભેમીયાત તેમના પત્નિ ધુળીબેન, કાકા ફુલાભાઇ રત્નાભાઇ, દલાભાઇ ફુલાભાઇ, મીરખાનભાઇ હસલાભાઇ વાગોળ ગામે દીકરીનું સગપણ જોઇ પરત આવ્યા હતા અને સાંજે જેથાભાઇએ તેમના મૃતક પિતા ભેમાભાઇના બારમા પ્રસંગ માટે કુંટંબના એક ઘરના રૂપિયા 60ની માંગણી કરી હતી. આથી ફુલાભાઇ અને તેમનો દિકરો દલજી ઉશ્કેરાઇ પોતાના પાસે રહેલી છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં ગંભીર ઇજા થતાં જેથાભાઇનું મોત નિપજ્યું હતુ.
આ અંગે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન આ કેસ પાલનપુરની સાતમી એડિશનલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર. એમ. આસોડીયાએ સરકારી વકીલ નૈલેશ એમ. જોશીની દલીલો ગ્રાહ્ય રાખી હતી. અને આરોપી દલો ઉર્ફે દલજીભાઇ ફુલાભાઇ ભેમીયાતને ભારતીય દંડ સંહિતાની કલમ નં. 302માં આજીવન કેદ, રૂ.5000 દંડની સજાનો હૂકમ કર્યો હતો.
આરોપી દલજીભાઇને ભારતીય દંડ સંહિતાની કલમ 326માં 10 વર્ષની સાદી કેદ અને રૂ.2000નો દંડ, જો દંડ ન ભરે તો એક માસની વધુ સાદી કેદ, કલમ 324માં 1 વર્ષની સાદી કેદ અને રૂ.1000નો દંડ જો દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદ. કલમ 506(2)માં 1 વર્ષની સાદી કેદનો હૂકમ કર્યો હતો.
From – Banaskantha Update