અત્યારે શિયાળાની મોસમમાં ગાત્રો થીજવતી કડકડતી ઠંડી પડી રહી છે. તેવા સમયમાં ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને ઠંડીમાં આંશિક રાહત મળે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી ઇસુના નૂતન વર્ષ-2021ની રાત્રિએ પાલનપુર શહેરમાં રહેતાં 350 જેટલાં ગરીબ લોકોને મહેસૂલ પરિવાર દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી ડી.વાય.સી ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવદયા ગ્રુપ, પાલનપુર દ્વારા અપાયેલ ધાબળાનું વિતરણ નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, મહેસૂલ મંડળના પ્રમુખ અને મંત્રી તથા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના હસ્તે ગરીબોને ધાબળા આપવામાં આવ્યા હતાં.
પાલનપુર શહેરના કિર્તીસ્તંભ, ચાણક્યપુરી, બિહારીબાગ, એગોલા રોડ, તિરૂપતિ ડીસા હાઇવે, એરોમા સર્કલ, બ્રહ્માણી હોટલ, આકેસણ ફાટક, દિલ્હી ગેટ, મહાજન હોસ્પીટલ, ઢાળવાસની પાછળ, જી. ડી. મોદી કોલેજ રોડ, રેલ્વે પુલના છેડે, રામલીલા મેદાન, ગઠામણ ગેટ, જુનું બસ સ્ટેશન અને હરીપુરા વિસ્તારમાં રહેતા ગરીબોને ધાબળા અપાયા હતાં.
આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાએ જણાવ્યું કે, કલેકટરની પ્રેરણા અને માર્ગદર્શન તથા જીવદયા ગ્રુપના યુવાનોના સાથ અને સહકારથી 2021ના નવા વર્ષની શરૂઆતમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ યુવાનોને કલેકટરએ અભિનંદન પાઠવતાં જણાવ્યું છે કે, આપણી યુવાની લોકોની મુશ્કેલીઓ શોધી તેનો ઉકેલ લાવવામાં વપરાય તો સમાજ અને રાષ્ટ્રને ચોક્કસ ફાયદો થશે.
From – Banaskantha Update