રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો.
ડિસેમ્બર મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા 14 જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ રાજયની વિવિધ જેલોમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-1985 હેઠળ કરવામાં આવ્યા. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટરે તમામ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટઓને સુચના આપી.